ભારત દ્વારા આયોજિત ૧૮મું બ્રિક્સ સમિટ ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ સહિત વિશ્વના ઘણા નેતાઓ ભારત પહોંચ્યા હતાં. જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે બપોરે લગભગ 12:00 વાગ્યે દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતરતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે તેમનું અભિવાદન કર્યું હતું.
BRICS સમિટ દરમિયાન આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાવાની છે—આ એક એવી ઘટના છે જેના પર સમગ્ર વિશ્વની નજર છે. બંને દેશો વચ્ચેના સંબંધોમાં ચાલી રહેલા તણાવને જોતા આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ મુલાકાત દરમિયાન, ચીને ભારત સાથેના સંબંધોને ફરીથી સુધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને મતભેદોને રચનાત્મક રીતે ઉકેલવાની વાત કરી છે. ચીની રાજદૂતે જણાવ્યું હતું કે બેઇજિંગ, વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગના માર્ગદર્શન હેઠળ મતભેદોને ઉકેલવા માટે ભારત સાથે મળીને કામ કરશે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને જોતા શી જિનપિંગની ભારત મુલાકાત વિશેષ મહત્વ ધરાવે છે.
શનિવારે BRICS સમિટ માટે શી જિનપિંગના ભારતમાં આગમનના થોડા કલાકો પહેલાં, ચીની રાજદૂત ઝુ ફેઈહોંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મતભેદોના નિરાકરણ અને પરસ્પર સહયોગ વિશે વાત કરી હતી. સમિટ દરમિયાન, શી જિનપિંગ વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
તેમની પોસ્ટમાં રાજદૂતે જણાવ્યું હતું કે, “ચીન અને ભારત રાષ્ટ્રપતિ શી અને વડાપ્રધાન મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરી રહ્યા છે. કઝાન અને તિયાનજિનમાં થયેલી બેઠકો બાદ, આ સતત ત્રીજું વર્ષ હશે જ્યારે બંને નેતાઓ મુલાકાત કરશે.” ઝુ ફેઈહોંગે ચીન અને ભારત વચ્ચેના સંબંધોમાં નવી શરૂઆતનો સંકેત આપતા નોંધ્યું હતું કે બેઇજિંગ પરસ્પર સહયોગ અને મતભેદોના નિરાકરણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં નવી દિલ્હી સાથે કામ કરશે. “ભારત સાથે મળીને કામ કરીશું”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ચીન બંને નેતાઓ દ્વારા આપવામાં આવેલા વ્યૂહાત્મક માર્ગદર્શનના અમલીકરણ, વ્યૂહાત્મક અને દીર્ઘકાલીન દ્રષ્ટિકોણથી દ્વિપક્ષીય સંબંધોનું સંચાલન, સંવાદમાં વધારો, સહયોગને વેગ આપવા, મતભેદોને યોગ્ય રીતે ઉકેલવા અને સારા પાડોશી સંબંધો ધરાવતા મિત્રો તેમજ એકબીજાની સફળતામાં સહાયક ભાગીદારો બનવા માટે ભારત સાથે કામ કરશે.”
શી જિનપિંગે છેલ્લે ઓક્ટોબર ૨૦૧૯માં ભારતની મુલાકાત લીધી હતી, જ્યારે તેઓ બીજી ભારત-ચીન અનૌપચારિક સમિટ માટે તમિલનાડુના મામલ્લાપુરમ ગયા હતા. તે બેઠક લદ્દાખમાં ભારતીય અને ચીની દળો વચ્ચેના સૈન્ય સંઘર્ષના માત્ર છ મહિના પહેલાં થઈ હતી—જે સંઘર્ષ ચાર વર્ષથી વધુ સમય સુધી ચાલ્યો હતો અને જેના કારણે દ્વિપક્ષીય સંબંધો દાયકાઓમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા હતા.
