રામાપીરનો સ્તંભ ઉભો કરવાના કાર્યક્રમમાં ચેન ચોરી કરતી ટોળકી સક્રિય
જેતપુર નજીક બલદેવધાર વિસ્તારમાં ધાર્મિક પ્રસંગમાં ઉમટેલી ભીડનો ગેરલાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ બે મહિલાઓના ગળામાંથી આશરે 4 લાખ રૂૂપિયા ની કિંમતના સોનાના ઘરેણાંની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદની વિગતો અનુસાર, જેતપુરના ચામુંડા ચોક વિસ્તારમાં રહેતા રાજીબેન રાજશીભાઇ ઓડેદરાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ 13 એપ્રિલ 2026 ના રોજ જેતપુરના બળદેવધાર વિસ્તારમાં આવેલ ખુલ્લા ખેતરમાં રામાપીરના મંદિરના બે જોડીયા સ્તંભ ઉભા કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશરે બે હજાર જેટલા લોકોની મેદની એકઠી થઈ હતી. સવારના આશરે 08:00 વાગ્યાની આસપાસ જ્યારે રાજીબેન તેમની પુત્રવધુ અને પૌત્રી સાથે સ્તંભને પગે લાગીને પરત ફરી રહ્યા હતા, ત્યારે ભીડનો લાભ લઈ કોઈ અજાણ્યા શખ્સે તેમના ગળામાંથી સોનાનો અછોડો ખેંચી લીધો હતો.
રાજીબેનને જાણ થઈ કે તેમના ગળામાંથી આશરે 30 ગ્રામ વજનનો સોનાનો ચેઈન, જેની કિંમત અંદાજે 3,00,000 રૂૂપિયા છે, તે ગાયબ છે. તેમણે તુરંત જ પરિવારજનોને જાણ કરી શોધખોળ શરૂૂ કરી હતી. આ દરમિયાન ત્યાં હાજર અન્ય એક મહિલા, સુમીતાબેન અતુલભાઇ વાધીયા (રહે. ધોરાજી), એ પણ જણાવ્યું કે તેમના ગળામાંથી પણ આશરે 10 ગ્રામ વજનનો સોનાનો ચેઈન અને પેન્ડલ (કિંમત આશરે 1,00,000 રૂૂપિયા) કોઈ ચોરી ગયું છે.
આમ, કોઈ અજાણ્યા તસ્કરોએ કુલ 40 ગ્રામ સોનાના દાગીના, જેની કુલ બજાર કિંમત 4,00,000 રૂૂપિયા થાય છે, તેની ચોરી કરી નાસી છૂટ્યા હતા. ઘટનાના ત્રણ દિવસ બાદ, એટલે કે 16 એપ્રિલ 2026 ના રોજ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 303(2) હેઠળ અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ પી.આઈ એસ.એચ.શર્મા ચલાવી રહ્યા છે. પોલીસ હાલ આસપાસના સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
