ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ગણતરીના દિવસોમાં તસ્કરોને પકડી પાડયા
રાજકોટ શહેરની ભાગોળે કુવાડવા રોડ ઉપર આવેલા તરઘડીયા ગામે થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે તસ્કરને પોલીસે બાતમીના આધારે ઉઠાવી લીધા હતાં. પોલીસે સોના ચાંદીના દાગીના, બાઈક અને રોકડ મળી રૂા.6,4,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઈમ) જગદીશ બાંગરવા અને મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઈમ) ભરત બી.બસીયા દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ થતી ઘરફોડ ચોરી, વાહન ચોરી, ચીલ ઝડપ, લુંટ વિગેરે ગુના બનતા અટકાવવા તેમજ થયેલ ગુનાઓ ડીટેકટ કરવા સુચના કરેલ હોય જે સુચન અનવયે ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચની ટીમે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.
તે દરમિયાન ખાનગી બાતમી આધારે કુવાડવા રોડ પો.સ્ટે. વિસ્તારનાં તરઘડીયા ગામ ખાતે થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા ભાદા દુલાભાઈ સોલંકી (રહે.નારાયણનગર , ઢેબર રોડ, રાજકોટ) અને હીરેન અશોકભાઈ ભટ્ટ (રહે.પી.ડી.માલવીયા કોલેજની બાજુમાં નારાયણનગર મફતીયાપરા, રાજકોટ)ને ઝડપી લીધા હતાં. પોલીસે સોના ચાંદીના દાગીના, બાઈક અને રોકડ મળી રૂા.6,41,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અગાઉ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયા હોવાનું જાણવા મળ્યું છે.
