ટ્રેનમાંથી ફેંકાઇ જતા કે અકસ્માતે ઠોકરે ચડી જતા મોત નીપજ્યાની શંકા : ઓળખ મેળવવા તજવીજ
શહેરની ભાગોળે મોરબી રોડ પર આવેલા બેડી ગામે પાસે રેલવેના બ્રિજ નીચે પાણીમાંથી અજાણયા વૃદ્ધની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ટ્રેનમાંથી ફેકાઇ જતા કે ઠોકરે ચડી જતા મોત થયાની શંકા સેવાઇ રહી છે.
જાણવા મળતી વિગત મુજબ બેડી ગામ પાસે આવેલા રેલવે બ્રિજ નીચે પાણીમાં ગાંડીવેલ વચ્ચે અજાણયા વૃદ્ધની લાશ તરતી હોવાની જાણ થતા સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી બિડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ યોગશેભાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડના સ્ટાફે ગાંડીવેલ વચ્ચેથી પાણીમાં તરતી વૃદ્ધની લાશને બહાર કાઢી પોલીસને સોપવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક વૃદ્ધની ઉમર આશરે 65થી 70 વર્ષ હોવાનુ અને તેમના ખીસ્સા તપાસતા રોકડ રકમ મળી આવી હતી.
જોકે ઓળખ થાય તેવો કોઇ પુરાવો મળ્યો ન હતો પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી હોસ્પિટલમાં ખસેડી મૃતકની ઓળખ મેળવા તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક રીતે મૃતક ટ્રેનમાંથી ફેકાઇ જતા અથવા ટ્રેનની ઠોકરે ચડી જતા પાણીમાં પડી જવાથી મોત નીપજ્યાનું અનુમાન સેવાઇ રહ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
