જસદણ તાલુકાના વીરનગર ગામની વાડી વિસ્તારમાં વિધિ અને ધૂણવાના બહાને મહિલાને મારમારી સળગતો મકાઈનો પૂળો ફેંકી મૃત્યુ નીપજવાના ચકચારી કેસમાં કોર્ટે આરોપી નિલેશ કાળુ કટારાને મનુષ્ય સાપરાધ વધના ગુનામાં આજીવન કેદની સજા અને રૂૂ.25,000 નો દંડ ફટકારી બે શખ્સોને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, વર્ષ 2020માં જસદણ તાલુકાના વીરનગર ગામે રહેતા ભરતભાઈ રૂૂપારેલીયાની વાડીમાં રહી મજૂરી કામ કરતા અને મૂળ મહીસાગર જિલ્લાના વતની પંકજ ભાણાભાઈ ચંદાણા નામનો યુવાન બહેન-બનેવી સહિત પોતાના પરિવાર સાથે બેઠા હતા ત્યારે બનેવી મુકેશનો ભત્રીજો નિલેશ કટારાએ કહુ કે “હું દશામાનો ભુવો છું” તેમ કહી ધૂણવાનું શરૂૂ કર્યું હતું અને આક્ષેપ કર્યો હતો કે ઉર્મિલાબેને માતાજીના મંત્રો લઈ લીધા છે. તમો તેની પાસેથી મંત્રો અપાવો નહિતર આપણને બધાને પતાવી દેશે તેમ કહી મુકેશ કટારા અને સતીષએ ઉર્મિલાબેનને પકડી રાખી માર માર્યો હતો.
દરમિયાન નિલેશ કટારાએ બાજુમાં પડેલો મકાઈનો પૂળો સળગાવીને ઉર્મિલાબેન પર ફેંકતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ગંભીર રીતે દાઝી ગયેલી ઉર્મિલાબેનને રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવતા ત્યાં તેણીનું મોત નીપજ્યું હતું. આ અંગે આટકોટ પોલીસે મૃતક ઉર્મિલાબેનના પતિ પંકજ ભાણાભાઈ ચંદાણાની ફરિયાદ પરથી આરોપીઓ વિરૂૂદ્ધ આઈ. પી. સી. કલમ 304 મુજબ ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી હતી. બાદ તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. જે કેસ સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા જેમાં સરકાર પક્ષ દ્વારા નજરે જોનાર ફરિયાદી, સાહેદ, તબીબ અને મૃતકનું ડીડી લેનાર નાયબ મામલતદાર તેમજ સ્વતંત્ર સાહેદો અને પોલીસ પંચો મળી કુલ 15 સાક્ષીઓની સોગંદ ઉપર જુવાની લેવામાં આવેલી હતી અને 16 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા.
બાદ સરકારી વકીલ તરુણભાઈ માથુર દ્વારા બનાવને અનુસંધાને કરેલી કાયદાકીય દલીલો તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પ્રસ્થાપિત થયેલા ચુકાદાઓને ધ્યાને લઈ રાજકોટ અધિક સેશન્સ જજ એ.કે. શાહે નિલેશ કાળુ કટારાને કલમ 304 પાર્ટ (1) ના ગુનામાં આજીવન કેદની સજા અને રૂૂ.25000 દંડ ફટકારતો હુકમ કર્યો છે. જ્યારે મુકેશ નાથુ કટારા અને સતીશ સાવનજી ઠાકોરને નિર્દોષ છોડી મૂકવા હુકમ કરવામાં આવ્યો છે. નિર્દોષ મુક્ત થયેલા મુકેશ કટારા વતી યુવા એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી, વૈભવ બી. કુંડલીયા, શિવરાજસિંહ એમ. જાડેજા અને લીગલ આસિસ્ટન્ટ તરીકે જયદીપ ડી. ગઢીયા જ્યારે સતીશ ઠાકોર વતી એડવોકેટ તરીકે બલરામ પંડિત મોતીભાઈ સિંધવ વી જે ગોસ્વામી ધારા પંડિત અને આસિસ્ટન્ટ તરીકે એમ આર સોલંકી રોકાયા હતા.
