શહેરના આજીડેમ વિસ્તાર હેઠળના લાપાસરી ગામમાં જૂની અદાવતનો ખાર રાખી એક યુવાન પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગત રાત્રિના સુમારે આ ઘટના બની હતી.જેમાં લાપાસરી ગામે રહેતા ફરીયાદી રવિભાઈ મોહનભાઈ બાબરીયા પર તેમના પરિચિતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ફરીયાદી જ્યારે લાપાસરી ગામમાં આવેલા હનુમાનજી મંદિર નજીક પુલ પાસે બેઠા હતા, ત્યારે આ હુમલો થયો હતો.
ઘટનાની વિગત મુજબ, અગાઉ સાથે મજૂરી કામ કરતા હોવાને કારણે ફરીયાદી અને આરોપીઓ વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો, જેનો ખાર રાખી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ કિસ્સામાં આરોપી કરણભાઈ મુકેશભાઈ બાબરીયા અને અશોકભાઈ નારણભાઈ બાબરીયાએ આવીને ફરીયાદી સાથે ગેરવર્તણૂક કરી હતી. અશોકભાઈએ ફરીયાદીને બે-ત્રણ ઝાપટ મારી હતી અને કરણભાઈએ હાથમાં પથ્થર લઈ ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી હતી, જેના કારણે ફરીયાદી ભયભીત થઈને ત્યાંથી નીકળી ગયા હતા.આ સમગ્ર મામલે 15 જુલાઈ 2026ના રોજ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરીયાદના ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
