બોટાદના રાણપુર ખાતે આયોજિત સમૂહ લગ્ન પ્રસંગે રાજ્યના મંત્રી અને કોળી સમાજના કદાવર નેતા પરષોત્તમ સોલંકીએ ફરી એકવાર પોતાના આગવા અંદાજમાં શક્તિપ્રદર્શન કરી રાજકીય ગરમાવો લાવી દીધો છે. ઉમરાળા ગામે 11 દીકરીઓના લગ્નોત્સવમાં હાજરી આપતા સોલંકીએ ભાવુક અને આક્રમક શૈલીમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી તેઓ જીવિત છે ત્યાં સુધી સમાજે ચિંતા કરવાની જરૂૂર નથી. તેમણે ’સાવજ’ના રૂૂપક સાથે વિરોધીઓને આડકતરી ચેતવણી આપતા ઉમેર્યું કે, જો કોઈ બહેન-દીકરીઓની આડું આવશે તો તેને છોડવામાં નહીં આવે. રસપ્રદ વાત એ છે કે, સોલંકીએ પોતાની રાજકીય મહત્વકાંક્ષા અંગે ખુલીને વાત કરતા કહ્યું કે, જો તેમને ’ભાઈ-બાપા’ કરતા આવડતું હોત તો તેઓ આજે મુખ્યમંત્રીના પદ પર હોત, પરંતુ તેઓ ક્યારેય કોઈના શરણે થયા નથી.
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિતના અગ્રણીઓની હાજરી સૂચવે છે કે સૌરાષ્ટ્રના રાજકારણમાં કોળી મતોનું પ્રભુત્વ અકબંધ છે. પરષોત્તમ સોલંકી લાંબા સમયથી સ્વાસ્થ્યના પ્રશ્નો છતાં સમાજ પર પોતાની પકડ જાળવી રાખવા માટે જાણીતા છે.
રાજકીય વિશ્ર્લેષકોના મતે, તેમનું આ નિવેદન પક્ષમાં તેમના કદ અને આગામી સ્થાનિક સમીકરણોને ધ્યાને રાખીને અત્યંત મહત્વનું મનાય છે. અંતમાં તેમણે લોકગીતના સૂર સાથે સમાજની પડખે ઉભા રહેવાની કટિબદ્ધતા દાખવી હતી.
