પશ્ર્ચિમી સરહદે 3400 કિ.મી.ની યાત્રાને રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ લીલી ઝંડી બતાવી
ભારતીય આર્ટિલરી રેજિમેન્ટના સ્થાપના કાળના 200 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક પ્રસંગને યાદગાર બનાવવા માટે પશ્ચિમી સરહદે 3400 કિમીની શૌર્ય સફર ’ભારત રણભૂમિ દર્શન’ અભિયાનનો શાનદાર આરંભ કરવામાં આવ્યો છે. પવિત્ર યાત્રાધામ દ્વારકાથી આ કાર રેલીને તેલંગાણાના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. ભારતીય નૌકાદળ અને સીમા સુરક્ષા દળ (BSF)ના સંયુક્ત સહયોગથી આયોજિત આ અભિયાન દેશના વીર ગનર્સના સાહસ અને બલિદાનને સમર્પિત છે.
આ કાર રેલી દ્વારકાથી નીકળીને આગામી દિવસોમાં ગુજરાત અને રાજસ્થાનની પશ્ચિમી સરહદો પર 3400 કિલોમીટરથી વધુનું અંતર કાપશે. આ કાર યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ઐતિહાસિક રણભૂમિઓની મુલાકાત લેવી અને યુદ્ધ સ્મારકો પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો છે. માર્ગમાં સૈનિકોની ટુકડી સરહદી ગામોના લોકો, વીર નારીઓ અને ભૂતપૂર્વ સૈનિકો સાથે સંવાદ કરી રાષ્ટ્રની કૃતજ્ઞતા વ્યક્ત કરશે. આ અભિયાન નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (National War Memorial) ખાતે સંપન્ન થશે. દ્વારકાનું મહત્વ આધ્યાત્મિક નગરી દ્વારકાથી આ સફર શરૂૂ કરવાનું વિશેષ વ્યૂહાત્મક મહત્વ છે. ભારતની દરિયાઈ સીમાઓના રક્ષણમાં નૌકાદળ ની ભૂમિકાને આ શહેર મજબૂત રીતે રેખાંકિત કરે છે. પ્રસ્થાન સમારોહમાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ, નાગરિક વહીવટીતંત્રના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં એનસીસી કેડેટ્સ હાજર રહ્યા હતા.
