રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં આવેલ રંભામાની વાડી પાસે રહેતા યુવાનને કામ ધંધો નહિ મળતા આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં આવેલી રંભામાંની વાડી પાસે રહેતા પરેશ કાળુભાઈ સોલંકી નામનો 36 વર્ષનો યુવાન સવારના સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો.
ત્યારે ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવકને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત યુવકને મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલોસ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો.
પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મેડિકલ કોલેજ ખાતે ખસેડાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક પરેશ સોલંકી મજૂરી કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો પરંતુ થોડા સમયથી કામ ધંધો નહીં મળતા આર્થિક ભીંસમાં સપડાયેલા યુવાને પરિવાર બહાર ગયા બાદ ગળેફાંસો ખાઇ આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
—-
