હાલ રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે ગઈ કાલે મોડી રાત્રે અમદાવાદમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. નારણપુર વિસ્તારમાં પોસ્ટ ઓફિસ પાસે આવેલા ચાર રસ્તા પાસે મહિલા કારચાલકે ટુ વ્હીલરને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર બે યુવકો પૈકી એકનું મોત થયું છે, જ્યારે બીજા યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં હોસ્પિટલ ખસેડાયો છે. મહિલા અકસ્માત સર્જાયા બાદ ભાગી ગઇ હતી.
મળતી માહિતી અનુસાર અમદાવાદના નારણપુરા પોસ્ટ ઓફિસ નજીક ચાર રસ્તા પર ગઈ કાલે મોડી રાત્રે એક મહિલા કારચાલકે પૂરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલક મહિલાએ સામે તરફથી બાઇક લઇને આવેલા બે યુવકોને ટક્કર મારતાં બે પૈકી એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે કાર ઓવરસ્પીડ હોવાથી બાઇક ગાડીની અંદર ઘૂસી ગઇ હતી.
યુવક મૂળ ગીર-સોમનાથ જિલ્લાનો રહેવાસી હતો..અને અહીં પીજીમાં રહીને અભ્યાસ કરતો હતો. તેનું નામ આર્યન હોવાનું સામે આવ્યું છે. બાઈક સવાર અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે લઈ જવાયો હતો.સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે મહિલા કારચાલક અકસ્માત બાદ ગભરાઇ ગઇ હતી અને બીજી કાર ભાડે કરીને તુરંત ત્યાંથી ભાગી ગઇ હતી.
