છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય, પરંતુ માં શબ્દને લાંછન લાગે અને ક્ષણભર માટે લોકોના હૃદય દ્રવી ઊઠે એવી એક ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં માતાએ બાળકને જન્મ આપી આકાશવાણી ચોક પાસે શહીદ ભગતસિંહજી ગાર્ડન નજીક આવાસ યોજનાના ક્વાર્ટરની પાછળ અવાવરું જગ્યાએ ત્યજી દેતાં શ્વાને નવજાતને ફાડી ખાધું હતું. જાગૃત નાગરિકે 108ને જાણ કરતાં તબીબે જોઈ તપાસી બાળકને મૃત જાહેર કર્યું હતું.આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂૂ કરી હતી.
વધુ વિગતો મુજબ,શહેરના આકાશવાણી ચોક પાસે શહીદ ભગતસિંહજી ગાર્ડન નજીક આવાસ યોજનાના ક્વાર્ટરની પાછળના ભાગે અવાવરું જગ્યાએ કોઈ અજાણી મહિલાએ પુત્રને જન્મ આપી ત્યજી દેતાં બાળકને શ્વાને ફાડી ખાધું હતું.શ્વાને બાળકને ફાડી ખાઈ મૃતદેહને કૂડા-કચરામાં લઇ જઈ દબોચી લેતા કોઈ જાગૃત નાગરિકનું ધ્યાન જતા તાત્કાલિક 108ને બોલાવી લીધી હતી. 108 ઇએમટીના તબીબે જોઈ તપાસી બાળકને મૃત જાહેર કર્યું હતું.
108 દ્વારા બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ થતાં હેડ કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. નવજાતના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂૂમે ખસેડવામાં આવ્યું હતું.આ નવજાત બાળક 2 દિવસનું હતું. બાળકનો જમણો પગ અને ડાબો હાથ શ્વાને ફાડી ખાધો હતો. ઘટનાસ્થળ પાસે કોઈ પણ સીસીટીવી કેમેરા ન મળી આવતા પોલીસે બાળકના માતા-પિતાની શોધખોળ યથાવત્ રાખી છે. રાત્રિના સમયે અંધારાનો લાભ લઇ કોઈ મહિલાએ નવજાતને ત્યજી દીધું હોવાની શંકા રહેવાસીઓ વચ્ચે ચર્ચાઈ રહી છે.પોલીસે બાળકના માતા-પિતાને શોધવા માટે નજીકના હોસ્પિટલોમાં આ અઠવાડિયા સુધીમાં જન્મેલાં બાળકોનું લિસ્ટ અને બનાવ નજીકના સીસીટીવી ફુટેઝ તપાસ્યા હતા.
