સુરક્ષાના ભાગ રૂપે વીજપુરવઠો બંધ કરી મોબાઈલ ટોર્ચથી ફસાયેલા 20 લોકોનું રેસ્ક્યુ : જાનહાનિ ટળતા રાહત : દાયકાઓ જૂનું હોવાથી વરસાદમાં કાટમાળ તૂટી પડ્યો
જામનગરમાં પટણીવાડ વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે એક જુનવાણી મકાન ધરાશાઇ થઈ ગયું હતું. વરસાદી વાતાવરણને લઈને બે માળનું મકાન કે જેનો કેટલોક હિસ્સો ધરસાઈ થયો હતો. સદભાગ્યે લાકડાના પીઢિયા વગેરે પડયા ત્યારે તે હિસ્સામાં કોઈ હાજર ન હોવાના કારણે કોઈ જાન હાની થઈ ન હતી. આરીફ ભાઈ પંજા ની માલિકીના મકાનમાં છ થી વધુ ભાડુઆતો રહેતા હતા, અને પાછળના ભાગમાં ઉપરના માળે લોકો ફસાયેલા હતા. જે બનાવ ની જાણ થતાં સૌ પ્રથમ સ્થાનિક કોર્પોરેટર અસલમ ખીલજી સહિતના અગ્રણીઓ પહોંચ્યા હતા, અને ફાયર બ્રિગેડ તેમજ એસ્ટેટ શાખા ની મદદ લીધી હતી. જેથી ફાયર બ્રિગેડ ની ટીમ ફાયર સેફટી ના સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી હતી, અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.
ઉપરાંત એસ્ટેટ શાખાની ટુકડી પણ દોડી ગઈ હતી. જ્યાં ફસાયેલા 20 થી વધુ ભાડુઆતોને એક પછી એક સહી સલામત રીતે ફાયર બ્રિગેડની ટુકડીએ ઉતારીને બહાર કાઢી લીધા હતા. જેથી સમગ્ર ઘટનામાં કોઈ જાન હાની નો બનાવ બન્યો ન હતો. આ રેસ્ક્યુ કામગીરી સમયે સુરક્ષા ના ભાગરૂૂપે ઉપરોક્ત વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરાયો હોવાના કારણે અંધારું થયું હતું, જેથી ફાયર બ્રિગેડ ની ટીમે ટોર્ચ વગેરેની વ્યવસ્થા રાખી હતી, જેના સહારે રેસ્ક્યુ કામગીરી કરી લેવામાં આવી હતી. જેમાં સ્થાનિક નાગરિકો પણ જોડાયા હતા. ત્યારબાદ એસ્ટેટ શાખાની ટુકડીએ બાકી રહેલો જોખમી જર્જરિત હિસ્સો રાત્રિના સમયેજ તોડવાની કામગીરી ચાલુ રાખી હતી.
