શહેરમાં પુનિતનગર વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા વૃદ્ધ કુવાડવા રોડ પર આવેલ ગેસ પ્લાન્ટથી બોલેરો લઈ પોતાના ઘરે જતા હતા ત્યારે ગોંડલ ચોકડી પાસે અજાણ્યા ટ્રક ચાલકે બોલેરોને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા બોલેરો ચાલકનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પુનિતનગર વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા કરમણભાઇ જાદવભાઈ ભુંડિયા નામના 72 વર્ષના વૃદ્ધ રાત્રીના દસેક વાગ્યાના અરસામાં પોતાની બોલેરો કાર લઈ ગોંડલ ચોકડીથી સાંઢિયા પુલ તરફ જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે બોલેરોને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધનું સારવાર મળે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં સાથે શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક વૃદ્ધ પાંચ ભાઈ બે બહેનના વચ્ચેટ હતા અને ગેસ પ્લાન્ટમાં ડ્રાઇવિંગ કામ કરતા હતા.
તેમને પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં વૈશાલીનગરમાં રહેતા રાજુભાઈ રામમૂર્તિ મદ્રાસી નામના 57 વર્ષના આધેડ રાત્રીના પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે ખાનગી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ મૂળ તમિલનાડુના વતની હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
