ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઇ વંશ એ વેરાવળમાં ભાજપ શાસિત નગરપાલિકા પર રૂૂ.દોઢ કરોડની નાણાકીય ગેરરીતિ નો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે પત્રકાર પરિષદ યોજી આ દાવો કર્યો હતો અને વિજિલન્સ તપાસની માંગ કરી છે.
ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઇ વંશ ના જણાવ્યા અનુસાર આ ગેરરીતિ નગરપાલિકા ની લાઈટ અને પાણી પુરવઠા શાખા માં થઈ છે. માહિતી અધિકાર (આરટીઆઈ) હેઠળ મેળવેલ દસ્તાવેજ માં આ મામલો સામે આવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે સ્ટાન્ડર્ડ કંપનીઓનાં બજાર ભાવ કરતા બે થી ત્રણ ગણા વધુ દરે સામગ્રી ની ખરીદી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા હાઈ માસ ટાવર અને સ્ટ્રીટ લાઈટ ની ગુણવત્તામાં પણ ભેદભાવ જોવા મળ્યો છે. કેટલાક સ્થળોએ સ્ટાન્ડર્ડ કંપનીનું મટીરીયલ વપરાય છે, જ્યારે અન્ય સ્થળોએ સામાન્ય અને ઓછા દરજ્જાનું મટીરીયલ ઉપયોગમાં લેવાયું છે.
વેરાવળ નગરપાલિકા ના ચીફ ઓફિસર પારસ મકવાણા એ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે નગરપાલિકા દ્વારા તમામ કામો નિયમસર ટેન્ડર પ્રક્રિયા મુજબ જ કરવામાં આવે છે. સૌથી ઓછા દરે કામ આપવા તૈયાર હોય તેવી એજન્સી ને જ કારોબારી સમિતિની મંજૂરી બાદ કામ સોંપવામાં આવે છે. તેમણે ખાતરી આપી કે જો કોઈ ગેરરીતિ સામે આવશે તો સંબંધિત જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.
