શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર અકસ્માતો સર્જાયા હોવાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ બે ઘટનામાં કાલાવડ રોડ ઉપર અવધના ઢાળ પાસે મધરાતે અજાણ્યા આઇસર ચાલકે રીક્ષાને ઠોક ચઢાવતા ત્રણ લોકોને ઈજા પહોંચી હતી જ્યારે રતનપર ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલક અને રાહદાર ને ઠોકરે ચડાવ્યા હતા. બંને અકસ્માતમાં ઘવાયેલા પાંચ જેટલા લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ ઉપર અવધના ઢાળ પાસે રહેતા અને કેટરર્સનું કામ કરતા મનીષ લાલજીભાઈ વાઘેલા (ઉ.વ.26) અને અશોક પાલાભાઈ દાફડા (ઉ.વ.28) તેના શેઠ વિરલ શરદભાઈ મેસવાણિયા (ઉ.વ.34)ની રીક્ષામાં બેસી અવધના ઢાળ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા આઇસર ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં મોરબી રોડ ઉપર આવેલા રતનપર ગામે રહેતા યશ દિનેશભાઈ માલકીયા નામનો 30 વર્ષનો યુવાન પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો જ્યારે રતનપર ગામના પાટીયા પાસે દિલીપભાઈ જીવરાજભાઈ ચાવડા ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવેલા અજાણ્યા વાહન ચાલાકે યસ માલકીયાના બાઇકને અને રાહદારી દિલીપભાઈ ચાવડાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. બંને અકસ્માતમાં ઘવાયેલા પાંચેય લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
