શહેરમાં જામનગર રોડ પર આવેલા પરસાણાનગરમાં રહેતા યુવાને બેકારીથી કંટાળી હંસરાજનગરના નાલા પાસે ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર આવેલા પરસાણાનગરમાં રહેતા પ્રદીપ અતુલભાઈ રાઠોડ નામનો 30 વર્ષનો યુવાન હંસરાજનગરના નાલા પાસે હતો ત્યારે બેકારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અન્ય બનાવમાં પરાપીપળીયા વિસ્તારમાં રહેતી નસીમબેન સોહીલભાઇ રફાઈ નામની 28 વર્ષની પરિણીતા છએક વાગ્યાના અરસામાં સિવિલ હોસ્પિટલ ચોક પાસે પુલ નીચે હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી.
જ્યારે નવાગામમાં રહેતી સવિતાબેન અશ્વિનભાઈ સિંગલ નામની 40 વર્ષની પરિણીતાએ માનસિક બીમારી સબબ એસિડ ગટગટાવી લીધું હતું. બંને પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
