કાલાવડ રોડ વામ્બે આવાસના ક્વાર્ટરમાં રહેતી યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે.યુવતીની થોડા દિવસ પહેલા જ સગાઈ થઈ હતી. આપઘાતનું કારણ જાણવા તજવીજ શરૂૂ કરવામાં આવી છે.
વધુ વિગતો મુજબ,કાલાવડ રોડ વામ્બે આવાસના ક્વાર્ટર નંબર 23/38માં રહેતી જેમીષ્ઠા વિજયભાઈ જાદવ (બારોટ) (ઉ.23)એ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેમને 108ના તબીબ રોશનીબેને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા એએસઆઈ ડી.સી.જોશી અને સ્ટાફ સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો.પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે,તેમના પિતા વિજયભાઈ હીરા ઘસવાનું કામ કરે છે.પોતે એક ભાઈ બે બહેનમાં નાની હતી અને તેમના મોટા બહેનના લગ્ન થઈ ગયા છે.જેમીષ્ઠાની થોડા દિવસ પહેલા જ સગાઈ થઈ હતી.તે અગાઉ બીમાર રહેતી પરંતુ હાલ તબિયત સારી હતી.તેણી એ કયા કારણોસર આ પગલું ભર્યું એ અંગે તાલુકા પોલીસે તપાસ યથાવત રાખી છે.
