રાજકોટ શહેરના રામનાથ પરા વિસ્તારમાં એક યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ પશ્ચિમ બંગાળના કોલકાતાનો વતની અને હાલ મુંબઈ ખાતે સ્થાયી થયેલો 27 વર્ષીય અબ્દુલ અલી શેખ નામનો યુવાન રાજકોટના રામનાથ પરા શેરી નંબર-5માં રહેતા તેના મિત્ર સાહિલના ઘરે મહેમાન ગતિએ આવ્યો હતો. શનિવારના રોજ સાંજના આશરે પાંચેક વાગ્યાના અરસામાં અબ્દુલ જ્યારે ઘરે હતો, ત્યારે તેણે કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લીધી હતી.
ઘટનાની જાણ થતા જ તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
વધુ વિગતો મુજબ, અબ્દુલ અલી શેખ વ્યવસાયે સોની કામ સાથે સંકળાયેલો છે અને તે બે ભાઈઓમાં મોટો તેમજ અપરિણીત છે. હાલમાં તે મુંબઈમાં રહીને મજૂરી કામ કરે છે અને થોડા દિવસો પહેલા જ રાજકોટમાં રહેતા સાહિલના ઘરે આંટો મારવા માટે આવ્યો હતો.
કોઈ પારિવારિક પ્રશ્ન કે માનસિક તણાવને કારણે આ પગલું ભર્યું છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને યુવાનના નિવેદન તેમજ આસપાસના લોકોની પૂછપરછના આધારે આપઘાતના પ્રયાસ પાછળનું સાચું કારણ જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
