રાજકોટ શહેરના મવડીમાં વિનાયક સોસાયટીમાં રહેતો મૂળ યુપીનો યુવાન ગઈકાલે આજીડેમમાં મિત્રો સાથે નાહવા જતા અચાનક ડૂબી જતાં તેમના મિત્રોએ ફાયર બ્રિગેડને જાણ કરતા યુવાનના મૃતદેહને બહાર કઢાયો હતો અને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.આ અંગે આજીડેમ પોલીસે કાર્યવાહી શરૂૂ કરી હતી.
વધુ વિગતો મુજબ,મવડીના વિનાયકનગરમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની બ્રિજેશ પુરસોતમભાઈ રાય(ઉ.23)ગઈકાલે તેમના મિત્રો સાથે આજીડેમમાં નાહવા ગયો હતો ત્યાંરે તે આજીડેમમાં નાહવા પડ્યો અને ડૂબવા લાગ્યો હતો.આ સમયે મિત્રોએ ફાયર બ્રિગેડને જાણ કરતા સ્ટાફે તુરત સ્થળ પર પહોંચી બ્રિજેશના મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
બ્રિજેશ ચાર ભાઈ એક બહેનમાં નાનો હતો અને અહીં કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.તે ગઈકાલે કંપનીમાં કામ પૂરું કર્યા પછી રાજકોટના ત્રણ મિત્રો સાથે આજીડેમમાં નાહવા ગયો અને ઘટના બની હતી.યુવાનના મૃત્યુથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.
