શહેરના સોરઠીયાવાડી સર્કલ પાસ કોઠારીયા કોલોનીમાં રહેતો યુવાન ત્રણ દિવસથી ઘરેથી ગુમ થઇ ગયો હતો. જેની લાશ ગોંડલના લીલાખા ગામે ભાદર નદીમાંથી મળી આવી હતી. યુવાને ધંધામાં ખોટ જતા ભાદર નદીમાં 60 ફુટ ઉંચેથી કુદકો મારી આપઘાત કરી લીધાનું ખુલવા પામ્યું છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.
જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા કોલોનીમાં કવાટર નં.162માં રહેતો સાગર અનીલભાઇ સિધ્ધપુરા (ઉ.વ.37) નામનો યુવાન ગત તા.21ના બપોરે ઘરેથી લાપતા થઇ જતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તનો કોઇ પતો ન લાગતા તા.22ના ભક્તિનગર પોલીસ મથકમાં ગુમસુદા નોંધ કરાવી હતી.
દરમિયાન ગઇકાલે ગોંડલ તાલુકાના લીલાખા ગામ પાસે ભાદર નદીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરતા ભાદર નદી કાંઠેથી મૃતકનું સ્કુટર મળી આવ્યું હતું. જેના આધારે ઓળખ મળતા તે રાજકોટમાંથી ગુમ થયેલો સાગર સિધ્ધપુરા હોવાનું ખુલવા પામ્યું છે. મૃતક યુવાને ભાદ નદીમાં 60 ફુટ ઉંચેથી કુદકો મારી આપઘાત કરી લીધો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇ એક બહેનમાં નાનો અને લુહારીકામ કરતો હતો. તેને સંતાનમાં બે પુત્રી છે. ધંધામાં ખોટ જતા એક મહીના પહેલા પણ તે આજીડેમે આપઘાત કરવા ગયો હતો. જો કે પરિવારને જાણ થઇ જતા તેને બચાવી લીધો હતો. ત્યારે ફરી ઘરેથી નીકળી જીવન ટુંકાવી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
