શહેરના ભગવતીપરા મેઈન રોડ પર જયપ્રકાશનગરમાં રહેતાં યુવકે આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઈ ગયો છે. વધુ વિગતો મુજબ, શહેરનાં ભગવતીપરાના જયપ્રકાશનગરમાં રહેતાં નિલેશભાઈ બાલાભાઈ રાઠોડ (ઉ.38) નામનાં યુવાન ગઈકાલે સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતાં 108નાં તબીબે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ બી-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે નિલેશે આર્થિક ભીંસથી કંટાળી પગલું ભરી લીધું હતું. તે છુટક મજુરી કામ કરતો હતો અને તેમને સંતાનમાં ત્રણ પુત્રી હતી. તેમજ મૃતક બે ભાઈ બે બહેનમાં સૌથી નાનો હતો. આ બનાવથી તેમની ત્રણેય પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
