હાઈવે પર બાખડતા ખૂંટિયાઓએ બાઈકને અડફેટે લેતા ગુરગઢના યુવાનનું મૃત્યુ

કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે રહેતા લાખાભાઈ કાસમભાઈ શેખ નામના 47 વર્ષના મુસ્લિમ યુવાન ગત તારીખ 14 ના રોજ સાંજના સમયે મોટરસાયકલ પર પાછળ બેસીને લીંબડી…

કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે રહેતા લાખાભાઈ કાસમભાઈ શેખ નામના 47 વર્ષના મુસ્લિમ યુવાન ગત તારીખ 14 ના રોજ સાંજના સમયે મોટરસાયકલ પર પાછળ બેસીને લીંબડી ગામથી ગુરગઢ જઈ રહ્યા હતા. તે દરમિયાન હાઈવે પર રસ્તા વચ્ચે બે ખુટિયા સામસામે બાખડતા એકાએક ખૂટિયો લાખાભાઈના મોટરસાયકલ સાથે સામે દોઢ મૂકી તેની સાથે ટકરાયો હતો. અને તેમના શરીર પર પડ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા લાખાભાઈ શેખનું લોહીની ઉલટીઓ થયા બાદ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ બશીરભાઈ લાખાભાઈ શેખ (ઉ.વ. 27, રહે. ગુરગઢ)એ કલ્યાણપુર પોલીસને કરી છે.

બે યુવાનોએ જિંદગી ટૂંકાવી
ખંભાળિયામાં રહેતા રવિભાઈ પરબતભાઈ ઉર્ફે પબાભાઈ જોડ નામના 28 વર્ષના યુવાને ગઈકાલે રવિવારે સાંજે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે રૂૂમમાં પંખાના હૂકમાં બેલ્ટ વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગેની જાણ અશ્વિનભાઈ કારાભાઈ જોડએ અહીંની પોલીસને કરી છે.
અન્ય એક બનાવમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના સેવણી ગામના મૂળ વતની અને હાલ ખંભાળિયા તાલુકાના સામોર ગામે રહેતા વિશાલભાઈ પ્રકાશભાઈ રાઠોડ નામના 30 વર્ષના યુવાને રવિવારે સવારના સમયે સામોર ગામની સીમમાં એક આસામીની વાડીમાં આવેલા ઝૂંપડામાં કોઈ અગમ્ય કારણોસર પાકમાં છાંટવાની ઝેરી જંતુનાશક દવા પી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ પ્રકાશભાઈ શીટુભાઈ રાઠોડ (ઉ.વ. 46) એ અહીં પોલીસને કરી છે.

ભરાણાના યુવાનનો આપઘાત
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા દીપકભાઈ કાનજીભાઈ ચાવડા નામના 20 વર્ષના યુવાનને છેલ્લા આશરે એકાદ માસથી સામાન્ય તાવ અને માથાના દુ:ખાવા વચ્ચે કમળાની અસર હતી. આ બીમારીના કારણે દિપકએ શનિવારે રાત્રિના સમયે પોતાની વાડીએ રહેલી જંતુનાશક ઝેરી દવા પી લેતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા કાનજીભાઈ કારાભાઈ ખરાએ વાડીનાર મરીન પોલીસને કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *