જામનગર નજીક ધુંવાવ માં રહેતા એક યુવાનને મકાનની લોન આપાવી દેવાના બહાને જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા બે શખ્સોએ રૂૂપિયા 60,800 ની રકમ પડાવી લઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક ધીંગેશ્વર સોસાયટીમાં રહેતા ખીમાભાઈ મંગાભાઈ સોલંકી નામના 27 વર્ષના ભરવાડ યુવાને પોતાની સાથે મકાનની લોન બાબતે છેતરપીંડી કરી રૂૂપિયા 60,800 પડાવી લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને મૂળ ખંભાળિયા ના રહેવાસી ધનરાજ મનોજભાઈ દતાણી તેમજ જામનગરમાં ભક્તિનગરમાં રહેતા વિવેક બિપિનભાઈ વેગડ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર બંને આરોપીઓએ ફરિયાદી યુવાનને વિશ્વાસ ભરોસો આપી મકાનની લોન મંજૂર કરાવી દેવાનું બહાનું બતાવ્યું હતું, અને ઉપરોક્ત રકમ મેળવી લીધા બાદ ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા, અને લોન નહીં અપાવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાથી આખરે મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બંને સામે છેતરપિંડી અંગે ગુન્હો નોંધવામાં આવ્યો છે.
