રાજકોટ શહેરમા માંડાડુંગર પાસે ગોકુલપાર્કમા રહેલા ર6 વર્ષના યુવાને આર્થીકભીંસથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમા અરેરાટી મચી ગઇ છે. આ ઘટનાથી બાવાજી પરિવારમા શોક છવાઇ ગયો છે તેમજ બનાવ અંગે આજીડેમ પોલીસ મથકના સ્ટાફે કાગળો કર્યા હતા.
વધુ વિગતો મુજબ ગોકુલપાર્ક શેરી નં 3 મા રહેતા અભયભાઇ ગોરધનભાઇ દાણીધારીયા નામના ર6 વર્ષના યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લેતા 108 ઇએમટીના ગૌતમભાઇએ મૃત જાહેર કર્યો હતો. આ મામલે આજીડેમ પોલીસને જાણ કરવામા આવતા હેડ કોન્સટેબલ એસ. કેે. ડાંગર અને સ્ટાફે કાગળો કર્યા હતા તેમજ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો. યુવાન એક બહેનનો એકનો એક ભાઇ હતો તેમજ ઘરનો આધારસ્થંભ હતો. તેમજ પોતે રોલેકસ બેરીંગ નામના કારખાનામા મજુરી કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવતો હતો. તેમની થોડા મહીના પહેલા સગાઇ પડધરી ખાતે કરવામા આવી હતી. યુવાનના મૃત્યુથી બાવાજી પરિવારમા શોક છવાઇ ગયો છે. પરિવારમાથી જાણવા મળ્યુ હતુ કે યુવાન છેલ્લા બે મહિનાથી ગુમસુમ રહેતો હતો.
