જામનગરમાં પટેલ પાર્ક શેરી નંબર 9 માં રહેતી રમીલાબેન હરેશભાઈ કોઠીયા નામની 45 વર્ષની પટેલ જ્ઞાતિની પરણીત મહિલા પરમદિને સવારે પોતાના ઘેરથી એકાએક ચાલી ગઈ હતી, અને રગમતી નદી ના પાણીમાં ઝંપલાવી દઇ આત્મહત્યા કરી લીધી છે. ગઈકાલે તેણીનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ બનાવ અંગે મૃતકના પતિ હરેશભાઈ લવજીભાઈ કોઠીયાએ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝનના એ.એસ.આઈ. એચ.આર. બાબરીયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવતી રમીલાબેન ના ભાઈ નું એક વર્ષ પહેલાં અવસાન થયું હતું, ત્યારબાદ તેણીને અવારનવાર ખોટા વિચારો આવતા હતા અને પોતાનું ઘર છોડીને ચાલી ગયા બાદ નદીમાં ઝંપલાવી દીધું હોવાનું સામે આવ્યું છે. જે મામલામાં પોલીસ વધુ તપાસ ચલાવે છે.
