જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને સરમત ગામમાં ખેતીવાડી ધરાવતા નિવૃત એએસઆઈ ભૂરુભા દેવુભા જાડેજા (ઉ.વ.63) ઉપર તે ના જ કુટુંબીઓ એવા છ શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડી વડે હુમલો કરી દેતાં તેઓને ફ્રેક્ચર સહિત ની ઇજા થવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે, અને તેઓ હાલ સારવાર મેળવી રહ્યા છે.
આ બનાવ અંગેની જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સી.ડી ગાંભવા જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને તેમનું નિવેદન નોંધ્યું હતું, જે નિવેદનમાં નિવૃત્ત એ.એસ.આઈ. ભુરુભા જાડેજાએ જણાવ્યું હતું કે સરમત ગામમાં પોતાની વાડી આવેલી છે, જ્યાં શ્રમિકો કામ કરે છે.
જે શ્રમિકોને પોતાની બાજુમાં જ વાડી ધરાવતા અને પોતાનાજ કુટુંબીઓ એવા જયપાલસિંહ બળુભા જાડેજા, બળુભા ભગુભા જાડેજા, રઘુવીરસિંહ તખુભા જાડેજા, જયેન્દ્રસિંહ નાનભા નો પુત્ર, ભીખુભા ખીમાજી નો પુત્ર, અને અજીતસિંહ ભગુભાનો પુત્ર સહિત છ શખ્સો લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કર્યાનું જણાવ્યું હતું, ઉપરાંત પોતાનો રૂૂપિયા 44 હજારની કિંમતનો સોનાનો ચેઇન પણ લુંટ ભાગી છૂટ્યા હતા. તેથી નિવૃત્ત પોલીસ કર્મી ભુરુભા જાડેજા ની ફરિયાદ ના આધારે તમામ છ આરોપીઓ સામે હુમલો કરવા અંગે તેમજ સોનાના ચેઇન ની લૂંટ કરવા અંગે ની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સિક્કા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.
