રાજકોટ સહીત રાજયભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરમાં હાર્ટ એટેકથી વધુ એક મોત નીપજયું છે. રાજનગર ચોકમાં યોગા સેન્ટરમાંથી યોગા કરીને ઉતરતા પ્રૌઢનું બેભાન થઇ ઢળી પડતા મોત નીપજયું હતું.
જાણવા મળતી વિગત મુજબ અંબિકા ટાઉનશીપ પાસે કસ્તુરી એપીટીસમાં રહેતા રાજેન્દ્રસિંગ રતનસિંગ ગુરૂજી (ઉ.વ.52) નામના પ્રૌઢ આજે સવારે રાજનગર ચોકમાં ઓમ વેલનેશ સેન્ટરમાં હતા ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કર્યું હતું.
પ્રાથમિક તપાસમાં મૃતક પ્રૌઢ મુળ છતિસગઢના વતની છે અને હાલ રાજકોટમાં રહી શાપર વેરાવળમાં કંપનીમાં નોકરી કરતા હતા. બુધવારે કારખાનામાં રજા હોવાથી તેઓ રાજનગર ચોકમાં આવેલા યોગા સેન્ટરમાં યોગા કરવા ગયા હતા જયાં યોગા કરીને ઉતરતા હતા ત્યારે હાર્ટ એટેક આવતા ઢળી પડતા તેમનું મોત નિપજયું હતું. મૃતક બે બહેનના એકના એક ભાઇ હતા તેમને સંતાનમાં બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
