ગુજરાત
વિશ્ર્વામિત્રી 29.36 ફૂટની ભયજનક સપાટીએ, હાઇવે ઉપર લાંબો જામ
કાલાઘોડા અને મંગલ પાંડે બ્રિજ બંધ કરાયા, નીચાણવાળા વિસ્તારોમાંથી શરૂ કરાયું સ્થળાંતર
ભરૂચ નજીક હાઇવે ઉપર ખાડાઓના કારણે વાહનોની પાંચ કિલોમીટર લાંબી કતાર
દક્ષિણ ગુજરાતમાં સતત બે દિવસ પડેલા ભારે વરસાદના કારણે સુરતના ખાડી વિસ્તારો અને બરોડાના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળે છે. રસ્તાઓ પણ ભાંગી પડ્યા હોવાથી વાહન વ્યવાહરને ભારે અસર થઇ છે. તો ભરૂચ નજીક નેશનલ હાઇવેમાં મોટા ગાબડા પડી જતા હાઇવે ઉપર ઠેર ઠેર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાયેલ છે.વિશ્ર્વામિત્રી નદીએ રાત્રે 29.36 ફૂટની ભયજનક સપાટી વટાવતા તંત્ર એલર્ટ બન્યું છે અને કાલાઘોડા તથા મંગલપાંડે બ્રિજ બંધ કરાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર શરૂ કરાયું છે.
ભરૂચ જીલ્લામાં ભારે વરસાદ ખાબકતાં જિલ્લામાથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-48 બિસમાર જોવા મળતા ટ્રાફ્કિજામની પરિસ્થિતિ સર્જાતા થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.
અંકલેશ્વર હાઇવે ઉપર આમલાખાડી બ્રિજ ઉપર મસમોટા ખાડાઓને પગલે સુરત તરફ્ જતી લેન પર 5 કિલોમીટર લાંબો ટ્રાફ્કિજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી. જ્યારે વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડી નજીક સાંકડો માર્ગ હોવાથી રોજિંદી સમસ્યા ઉદભવી છે તેવામાં જિલ્લા ટ્રાફ્કિ પોલીસ જવાનો આમલાખાડીના બ્રિજ પાસે ખડેપગે ટ્રાફ્કિ મેનેજ કરતાં નજરે પડયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આમલાખાડી બ્રિજ ઉપર પડેલ ખાડાઓનું યોગ્ય પુરાણ કરવામાં આવે તે જરૂરી છે. બરોડામાં પૂરની સ્થિતિ વચ્ચે આજવાના ઉપરવાસમાં વરસાદથી સરોવરની સપાટી 212.15 ફૂટ વટાવી ગઈ છે. ત્યારે સરોવરમાંથી પાણી ઓવરફ્લો થતાં ગુરુવારે વગર વરસાદે વિશ્વામિત્રી ભયજનક સપાટી વટાવી રાત્રે 12-13 કલાકે 29.36 ફૂટ થઈ હતી. જ્યારે કાલાઘોડા અને મંગલ પાંડે બ્રિજ બંધ કરી બેરિકેડ મૂકીને પોલીસ જવાનોને તૈનાત કરાયા હતા. બીજી તરફ નિચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશતાં રહીશોનું સ્થળાંતર શરૂૂ કરાયું હતું.
ફાયરબ્રિગેડે એનાઉન્સમેન્ટ કરી લોકોને સલામત સ્થળે જવા જણાવ્યું હતું.શહેરમાં બુધવારે 12 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબકતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે ઉપરવાસમાં વરસાદથી આજવાની સપાટી ગુરુવારે 212.15 ફૂટ સુધી પહોંચી હતી. 15 ઓગસ્ટ સુધી આજવાની સપાટી 211 ફૂટ સેટ કરાય છે અને વધારાનું પાણી ઓવરફ્લો થઈ વિશ્વામિત્રીમાં આવે છે. જોકે શહેરમાં પૂર જેવી સ્થિતિથી વિશ્વામિત્રીમાં પાણી વધ્યું હોવાથી તંત્રે 211 ફૂટને બદલે 212 ફૂટે દરવાજા સેટ કર્યા હતા.
ગુરુવારે શહેરમાં વરસાદ ન પડતાં મોટાભાગના વિસ્તારમાંથી પાણી ઊતરી ગયાં હતાં, પરંતુ વિશ્વામિત્રીની સપાટી 28 ફૂટની આસપાસ રહી હતી. બપોર બાદ આજવામાંથી પાણી ઓવર ફ્લો થયું હતું, જેથી મોડી રાત સુધી વિશ્વામિત્રીની સપાટી વધવાની શક્યતા છે. વિશ્વામિત્રીની સપાટી વધતાં સાંજે 4.47 કલાકે કાલાઘોડા બ્રિજ અને રાત્રે 10 વાગ્યાના સુમારે મંગલ પાંડે બ્રિજ બંધ કરાયા હતા. ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે કહ્યું કે, સુરક્ષાના કારણોસર બ્રિજ બંધ કરાયા છે. વાહનચાલકો અન્ય બ્રિજથી અવર-જવર કરી શકશે.
વિશ્વામિત્રીની જળસપાટી વધતાં કાલાઘોડા બ્રિજ ગુરુવાર સાંજના 4-47 કલાકથી બંધ કરી દેવામાં આવ્યો હતો, જેને લઈને રાહદારીઓને કોઈને તકલીફ ન પડે તે માટે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ડેરી ડેનથી સૂર્યા પેલેસ હોટલ થઈને ભીમનાથ બ્રિજ થઈને જઈ શકાશે. બીજી તરફ ભારદારી વાહનો માટે કાલાઘોડા બ્રિજથી મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તાથી અકોટા બ્રિજ થઈને અટલ બ્રિજ, શાસ્ત્રી બ્રિજ, ફતેગંજ બ્રિજની નીચેથી બુલ ચાર રસ્તાથી કાલાઘોડા ચાર રસ્તા તરફ જઈ શકાશે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય9 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ1 day ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો