શ્રીરામ અને કૃષ્ણના ગુણો માનવ માટે હંમેશ પ્રકાશકુંજ રહ્યા છે: દેવવ્રતજી
માધવપુર ઘેડ મેળાના પાંચમાં અને અંતિમ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજી વિવાહને સત્કારવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર, દેવભૂમિ દ્વારકાના સયુંકત ઉપક્રમે હાથી ગેટ પાર્કિંગ ખાતે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો.
આ સત્કાર સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જણાવ્યું હતું કે, ભારતની આ પવિત્ર ભૂમિ જ્યાં કાશ્મીરથી ક્ધયાકુમારી અને દ્વારકાથી અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલી પાવન ધરા તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, આધ્યાત્મિક મૂલ્યો અને જીવંત પરંપરાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આજના આ પવિત્ર દિવસે મને શ્રીકૃષ્ણ અને રૂૂક્મણીજીને દ્વારકા ખાતે આવકારવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. જેનો મને ખૂબ જ આનંદ છે. ભારતની સંસ્કૃતિમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને શ્રી કૃષ્ણ મુખ્ય કેન્દ્ર રહ્યા છે. શ્રી કૃષ્ણએ ચરિત્ર, કર્મ ,ધર્મ, નીતિ, દાયિત્વ સહિત આદર્શ માનવ જીવન માટે પ્રેરણા આપી છે. તેમનું જીવન અને ઉપદેશ આપણા માટે પ્રેરણાદાયી છે.
વધુમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, મહાભારતમાં શ્રીકૃષ્ણના જીવનના તથ્યો કે જે આપણા માટે પ્રેરણા આપે છે તે આપણે જાણવા જોઈએ. વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા આ માધવપુર મેળાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી નવી ઉંચાઈ મળી છે. માધવપુર ઘેડ મેળો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિઝનને સાકાર કરે છે.
વધુમાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, શ્રીકૃષ્ણનું મહાભારતમાં વર્ણન એટલું ઊંચું અને આદર્શપૂર્ણ છે કે તેને અપનાવીને માનવ દેવત્વ સુધી પહોંચી શકે છે. શ્રીકૃષ્ણએ રુકમણીજીને સન્માનપૂર્વક સ્વીકાર કરીને માધવપુરમાં વૈદિક પરંપરા અનુસાર વિવાહ કર્યા હતા જેના ઉપલક્ષમાં આજનો આ કાર્યક્રમ એ જ પવિત્ર વિવાહના સત્કાર રૂૂપે ઉજવવામાં આવે છે.
આ તકે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી મુળુભાઇ બેરાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, માધવપુર મેળા રૂૂપે શ્રી કૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહની ઉજવણીની પરંપરા સ્થાનિક લોકો દ્વારા સચવાયેલી હતી. તેને વિશ્વ ફલક પર અંકિત કરવાનું કાર્ય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાયું છે. માધવપુરનો મેળો ગુજરાતને દેશના ઉત્તરપૂર્વ વિસ્તાર સાથે એક અભિન્ન બંધનમાં જોડે છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસબોર્ડ, ગુજરાત સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા દ્વારા આયોજિત સત્કાર સમારોહમાં ભારતની સાંસ્કૃતિક એકતા દર્શાવતા ઉત્તર પૂર્વીય અને ગુજરાતના કલાકારો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મણીના જીવનકવન પર આધારિત “મનહર માધવપુર” નાટ્ય મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેને નિહાળી સૌ દ્વારકાવાસીઓ મંત્રમુગ્ધ થયા હતા અને સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું. ઉપરાંત, લોકગાયક શ્રી રાજેશ આહિર દ્વારા ભજનની સરવાણી પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ શ્રી રમેશ મેરજા તેમજ આભારવિધિ અધિક કલેકટર અને ખાસ ફરજ પરના અધિકારી સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ શ્રી એ.યુ.મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું.
