રાજકોટની લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં માતા-બહેન સાથે મામાના ઘરે રહેતી અને પોલીસ ભરતીની દોડમાં દોઢ મિનિટ માટે રહી જતાં યુવતીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી શેરી નં.3માં મામા યુસુફભાઈના ઘરે રહેતી અંજુમ અજિતખાન પઠાણ(ઉં.વ.19) નામની યુવતીએ મંગળવારે બપોરે સાડા બારેક વાગ્યા આસપાસ ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા બનાવની પરિવારને જાણ થતા તાત્કાલિક 108 બોલાવી લેતા ઇએમટીએ તેણીને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે થોરાળા પોલીસને જાણ થતા પીએસઆઈ ડી.કે. ધાંધલા અને એએસઆઈ નિલેશ ડામોર સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં, આપઘાત કરનાર અંજુમ બે બહેનમાં મોટી હતી. તેણીના પિતા વિસાવદર પોસ્ટ ઓફિસમાં ગ્રામીણ ડાક તરીકે નોકરી કરે છે. માતા-બહેન સાથે તેણી મામાના ઘરે રહેતી હતી. આપઘાત કરનાર અંજુમ વર્ષ 2024-25થી પીએસઆઈ-કોન્સ્ટેબલની નોકરી મેળવવા માટે તૈયારીઓ કરતી હતી. પિતાને આર્થિક મદદ કરવા માટે તેણીએ છેલ્લા એક મહિનાથી પીજીવીસીએલમાં કસ્ટમર કેરમાં નોકરી શરૂૂ કરી હતી. નોકરી કરવા પાછળ તેણીનો બીજો આશય પીએસઆઈની પરીક્ષાની લેખિત તૈયારીઓ કરવા માટે ક્લાસીસ શરૂૂ કરવાનો હતો.
વધુમાં અંજુમને ગત તા.2ના રોજ અમદાવાદમાં પીએસઆઈ-કોન્સ્ટેબલની દોડ હતી. દોડની પરીક્ષામાં દોઢ મિનિટના સમયથી ચૂકી જતા તેણીને નિષ્ફળતા પ્રાપ્ત થઇ હતી. જે બાદ હતાશામાં તેણીએ મામાના ઘરે અંતિમ પગલું ભરી જિંદગી ટૂંકાવી લીધી છે. મૃત્યુ પામનાર અંજુમ એનસીસીમાં અનેક કેમ્પ કરી ચૂકી હતી. તેણીએ સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો. બનાવથી મુસ્લિમ પરિવારમાં માતમ છવાયો છે.
