પાટણવાવમાં પરણિત મહિલા સાથે ફોન ઉપર વાત કરવા બાબતે ચાલતી જૂની અદાવતને લઈને બે પરિવારો વચ્ચે મારામારી થઇ હતી. મોબાઈલ પર વાતચીત કરવા જેવી સામાન્ય બાબતે થયેલા મનદુ:ખમાં બંને પક્ષોએ સામસામે હથિયારો વડે એક બીજા ઉપર હુમલો કરતા બન્ને પરિવાર ના ચાર સભ્યોને ઈજા થઇ હતી. આ મામલે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ પ્રથમ પક્ષની ફરિયાદમાં ચિત્તવનકુમાર મહેશભાઈ વાવેચા (ઉંમર 32) એ કરેલી ફરિયાદમાં ધનરાજ હિતેશભાઈ, હિતેશ ચંદુભાઈ, યોગેશ ચંદુભાઈ, ચંદુભાઈ દેવાભાઈ અને સમીર હિતેશભાઈ રાણવાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે 14 એપ્રિલ 2026ના રોજ રાત્રે 9:00 વાગ્યાના અરસામાં જ્યારે તે પાન ખાવા જતો હતો ત્યારે સામા પક્ષના ચંદુભાઈ દેવાભાઈ રાણવા અને તેમના પરિવારે ગાળો આપી હુમલો કર્યો હતો. આરોપી ધનરાજ હિતેશભાઈએ છરી વડે ચિત્તવન કુમારના માથામાં અને બગલના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.સામા પક્ષની ફરિયાદમાં ચંદુભાઈ રાણવાએ મહેશ ઉર્ફે મુકેશ વાવેચા, ચિત્તવન વાવેચા, પ્રતીક વાવેચા, રસીલાબેન વાવેચા અને નરેશ ઉર્ફે નિરુ વાવેચા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.ચંદુભાઈ દેવાભાઈ રાણવા (ઉંમર 69) એ વળતી ફરિયાદમાં જણાવ્યા મુજબ, મહેશ ઉર્ફે મુકેશ વાવેચા અને તેમના પરિવારે તેમના ઘર પાસે આવી હુમલો કર્યો હતો. મહેશ વાવેચાએ લોખંડના પાઈપ વડે યોગેશના માથામાં હુમલો કર્યો હતો, જ્યારે ચિત્તવન ઉર્ફે ચિતુએ કુહાડી વડે હિતેશ અને સમીરને ઈજાઓ પહોંચાડી હતી.
બંને ફરિયાદોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આશરે બે મહિના પહેલા ચિત્તવન અને યોગેશની પત્ની વચ્ચે મોબાઈલ પર વાતચીત થતી હોવાની બાબતે ઝઘડો થયો હતો. તે સમયે સમાધાન થઈ ગયું હોવા છતાં, તે બાબતનું મનદુ:ખ રાખીને બન્ને પરિવાર વચ્ચે ફરી માથાકૂટ થઇ હતી અને હુમલો કરવામાં આવ્યો હતો.
પાટણવાવ પોલીસે બંને પક્ષો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની વિવિધ કલમો જેવી કે 118(1/2) 191(2/3) (ગેરકાયદે મંડળી), 352 અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુના નોંધ્યા છે. આ મામલે પી.આઈ યશપાલસિંહ ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
