રાજકોટ શહેરમાં કાલાવડ રોડ પર ભગીરથ ગ્રેનીટો પાસે રંગમહેલ એપાર્ટમેન્ટમા રહેતા અને ત્રંબા પાસે ગુરુકુળમાં ધો.12નો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાન ઘરે ઝેરી પાવડર પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસ મથકના સ્ટાફે કાગળો કરી કારણ જાણવા તજવીજ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ કાલાવડ રોડ પર કટારીયા ચોકડી નજીક ભગીરથ ગ્રેનીટો પાસે રંગમહેલ એપાર્ટમેન્ટમા રહેતા મથન જગદીશભાઇ કયાડા નામના 17 વર્ષના તરૂણે પોતાના ઘરે ઘઉંના નાખવાના ઝેરી પાવડર પી જતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા ફરજ પરના તબીબે મંથનને મૃત જાહેર કર્યો હતો. પુત્રના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. મંથન ત્રંબા પાસે આવેલા ગુરુકુળમાં રહી ધો.12માઁ અભ્યાસ કરતો હતો. તાજેતરમાં જ ધો.11ની પરીક્ષા આપ્યા બાદ પાસ થયો હતો. અને હાલ વેકેશન હોય જેથી ઘરે આવ્યો હતો. પોલીસ પાસેથી જાણવા મળ્યુ કે, તેના પિતા કોલસાના વેપારી છે અને તેમને હૃદયની બિમારી હોય જેથી નવસારી સારવાર માટે ગયા હતા. ત્યાથી પરત ફર્યા ત્યારે પુત્રએ આ પગલુ ભરી લીધુ હતુ. પરિવારજનોએ જણાવ્યુ કે, મંથન તામસી સ્વભાવનો અને વાત વાતમાં ગુસ્સે થઇ જતો હતો. તેમના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.
