રાજકોટની કોર્ટનું શહેરમાંથી જામનગર રોડ ઉપર સ્થળાંતર થયું ત્યારથી વિવાદો અવિરત ચાલી રહ્યા છે. ત્યારે નવા કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા ઉપર પણ સવાલો ઉઠયા છે. ઘંટેશ્ર્વર નજીક બનેલા નવા કોર્ટ પરિસર તો ઠીક કોર્ટની લોબીમાં પણ શ્ર્વાન આંટાફેરા કરતા હોવાના અને આરામ ફરમાવતા હોવાના દૃશ્યો સામે આવતા ભારે ચર્ચા જાગી છે. કોર્ટ પરિસરના એન્ટ્રી ગેઇટમાં પણ સિક્યુરિટી બેસે છે અને કોર્ટ બિલ્ડિંગની એન્ટ્રિમાં તો મેટલ ડિટેક્ટર પણ મુકેલા છે. આમ છતા રખડતા શ્ર્વાન મુખ્ય ગેઇટથી કેટવોક કરતા પરિસરમાં આંટાફેરા કરી ઠેઠ કોર્ટની લોબીમાં પહોંચી આરામ ફરમાવતા નજરે પડે છે.
ત્યારે કોર્ટની સુરક્ષા સામે સવાલો ઉભા થાય છે.કોર્ટમાં દરરોજ મોટી સંખ્યામાં અરજદારો અને અધિકારીઓની અવર-જવર રહેતી હોય, કયારેક કોર્ટ પરિસક કે લોબીમાં આંટાફેરા કરતા કુતરા કોઇને નુકસાન પહોંચાડે તે પહેલા યોગ્ય વ્યવસ્થા ગોઠવવા લાગણી અને માંગણી ઉઠી છે. સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ પણ રખડતા શ્ર્વાન અંગે કડક વલણ અપનાવી સરકારને કાયમી નિરાકરણ લાવવા સુચના આપી છે અને સરકારે પણ શાળા-કોલેજો-હોસ્પિટલો સહિત સરકારી મિલકતોમાં કુતરા પ્રવેશે નહીં તે માટે વ્યવસ્થા ગોઠવવા જે-તે ઓથોરિટીને સુચના આપી છે. પરંતુ રાજકોટનું કોર્ટ પરિસર સરકારી લિસ્ટમાંથી બાકાત હોય તેવી સ્થિતિ જોવા મળે છે.
