પોલીસ સ્ટેશનના મુદ્દામાલમાંથી સોનાનો ઢાળિયો ગુમ કરનાર ASI સામે ગુનો નોંધાયો

શહેરના પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલમાંથી રૂા.65 હજારનો સોનાનો ઢાળીયો ગુમ કરનાર તત્કાલીન એએસઆઈ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વર્ષ 1998માં ચોરીના ગુનામાં કબજે કરેલો સોનાનો…

શહેરના પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલમાંથી રૂા.65 હજારનો સોનાનો ઢાળીયો ગુમ કરનાર તત્કાલીન એએસઆઈ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વર્ષ 1998માં ચોરીના ગુનામાં કબજે કરેલો સોનાનો ઢાળીયો પોલીસ મથકમાં રાખવામાં આવ્યો હતો. જે મુદ્દામાલ રાઈટર હેડ દ્વારા ગાયબ કરી અન્ય રાઈટર હેડને ચાર્જ સોંપ્યો ત્યારે તેને સોંપવામાં આવ્યો ન હતો. વર્ષ 2024માં કોર્ટના હુકમથી ફરિયાદી પોતાનો મુદ્દામાલ લેવા પરત આવ્યા ત્યારે આ સોનાનો ઢાળીયો ગાયબ હોવાનું જાણવા મળતાં તપાસના અંતે તત્કાલીન એએસઆઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.કે. ગોહિલે પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પ્ર.નગર પોલીસ સ્ટેશનના તત્કાલીન એએસઆઇ નવીનચંદ્ર બાલાશંકર ભટ્ટ (ઉ.વ 60) નું નામ આપવામાં આવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ પ્ર.નગરમાં થયેલી જાણવાજોગ એન્ટ્રીની તપાસ પી.એસ.આઇ બેલીમ ચલાવતા હોય તેની બદલી થતાં આ તપાસ ફરિયાદીને સોંપવામાં આવી હતી. જે અરજીમાં વર્ષ 1994માં થયેલી ચોરીમાં 9/10/1998 ના રૂૂ. 65,000 ની કિંમતનો સોનાનો ઢાળિયો કબજે કરવામાં આવ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા ગત તા. 18/5/2024 ના કોર્ટ દ્વારા આ મુદ્દામાલ તેના માલિક મૃદુલાબેન અરવિંદભાઈ ઠાકરને પરત સોંપવા હુકમ કર્યો હતો. જેથી તેઓ અહીં પોલીસ સ્ટેશનને આવ્યા હતાં. દરમિયાન પોલીસ સ્ટેશનને જે કબાટમાં મુદ્દામાલ રાખવામાં આવે છે તેમાં તપાસ કરતા સોનાનો ઢાળીયો મળી આવ્યો ન હતો.

જેથી આ બાબતે જાણવા જોગ દાખલ કરી તપાસ કરતા 1998 માં પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ રાઇટર હેડ તરીકે એએસઆઇ નવીનચંદ્ર બાલાશંકર ભટ્ટ ફરજ બજાવતા હતા. પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ રાઇટર હેડ તરીકે તેમની ફરજ દરમિયાન તેમણે પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવેલ મુદ્દામાલની દેખભાળ અને સાચવણીની જવાબદારી રાખવાની હોય છે. વર્ષ 1998 માં સોનાનો ઢાળિયો તેમણે મુદ્દામાં રાઇડર હેડ તરીકે સંભાળ્યા બાદ વર્ષ 2000 ની સાલમાં તેમના કબજામાં રહેલ તમામ મુદ્દામાલનું ચાર્જ લિસ્ટ અને મુદ્દામાલનો ચાર્જ અન્ય રાઇટરને સોપ્યો હતો તે સમયે તેમણે સોનાનો ઢાળિયો સોંપ્યો ન હોય જે તપાસ દરમિયાન બહાર આવતા તત્કાલીન એએસઆઈ એન.બી.ભટ્ટ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *