શહેરમા ઘંટેશ્વર વિસ્તારમાં આવેલા 25 વારીયામાં પ્રેમ લગ્ન કરનાર પરિણીતાએ સાસુ સસરા અને નણંદના ત્રાસથી કંટાળી ફીનાઇલ પી લીધું હતું પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવવા અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટરમાં રહેતી જાનુબેન સાગરભાઇ વાઘેલા નામની 20 વર્ષની પરિણીતા સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે ફિનાઈલ પી લીધું હતું પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં જાનુબેને સાગર વાઘેલા સાથે બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને તેણીને સંતાન નથી. પ્રેમ લગ્ન કરનાર જાનુબેન વાઘેલાએ સાસુ-સસરા અને નણંદના ત્રાસથી કંટાળી ફિનાઈલ પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત બીજા બનાવમાં સેન્ટ્રલ જેલમાં સજા કાપતા જીવરાજભાઈ જાદવભાઈ રાઠોડ નામના 80 વર્ષના પાકા કામના કેદી જેલમાં હતા ત્યારે તેમને ચક્કર આવતા ગબડી પડ્યા હતા. વૃદ્ધ કેદીને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
