શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલા યુવરાજનગરમાં બાળકોના ડખ્ખામાં બે પરિવાર વચ્ચે બઘડાટી બોલી હતી જેમાં સામસામે બંને પક્ષે પરિણીતા અને યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે આવેલા યુવરાજનગરમાં રહેતા કાજલબેન બબલુસિંહ ચૌહાણ નામની 20 વર્ષની પરણીતા અને તેમની પાડોશમાં રહેતા જય કિશોર મુનેશ્વર રામ અરજન (ઉ.વ.40) વચ્ચે બાળકોના ઝઘડા મુદ્દે મારા મારી થઈ હતી. જેમાં પરણીતા અને યુવકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં મવડી ચોકડી પાસે આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા રાહુલ પ્રભાતભાઇ સબાડ નામનો 30 વર્ષનો યુવાન રાત્રિના બે વાગ્યાના અરસામાં મવડી ચોકડી પાસે હતો ત્યારે અર્જુન અને ભરત સહિતના શખ્સોએ સ્કૂટરમાં બેસાડી શ્રીનાથજી સોસાયટીમાં લઈ જઈ માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
