કર્ણાટકના યાદગીર જિલ્લામાં દુ:ખદ માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા, જ્યારે એક ખાનગી બસ અને કાર વચ્ચે સામસામે ટક્કર થતાં કારમાં આગ લાગી હતી. જેમાં છ લોકો જીવતા બળી ગયા હતા, જ્યારે સ્થાનિક લોકોએ વાહનમાંથી બે લોકોને બચાવ્યા હતા. તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સુરપુર તાલુકાના દેવપુર નજીક બની હતી, જે સુરપુર પોલીસ સ્ટેશનના હદક્ષેત્રમાં આવે છે. શરૂૂઆતના અહેવાલો અનુસાર, કાર યાદગીરથી રાયચુર જઈ રહી હતી ત્યારે તે બેંગલુરુથી કલબુર્ગી આવી રહેલી એક ખાનગી બસ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કાર અને બસ બંનેમાં તરત જ આગ લાગી ગઈ.
કાર સંપૂર્ણપણે આગમાં લપેટાઈ ગઈ હતી, જેમાં સવાર તમામ છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ફાયર અને ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, સુરપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ શરૂૂ કરી હતી.
અધિકારીઓ હજુ સુધી અકસ્માતનું ચોક્કસ કારણ નક્કી કરી શક્યા નથી. મૃતકોની ઓળખ હજુ સુધી સ્થાપિત થઈ નથી. ટક્કર બાદ કાર ઉપરાંત બસમાં પણ આગ લાગી ગઈ હતી.
