3.40 લાખ 6 ટકા લેખે લીધા બાદ દોઢ લાખ ચૂકવી દેવા છતાં પાંચ લાખની માગણી: મહિલાના સોનાના દાગીના પચાવી પાડ્યા
જામનગર શહેરમાં પઠાણી વ્યાજ વસૂલવા અંગેનો છેલ્લા 24 કલાકમાં ત્રીજો ગુનો દાખલ થયો છે, અને એક મહિલા વ્યાજખોરના ચૂંગાલમાં ફસાયા હોવાનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. મહિલાએ 3.40 લાખ વ્યાજે લીધા હતા. તેના બદલામાં પોતાના સોનાના દાગીના ગીરવે મૂક્યા હતા, અને કટકે કટકે દોઢ લાખ રૂૂપિયા નું વ્યાજ ચૂકવી દીધુ હતું, તેમ છતાં વ્યાજખોરે વધુ પાંચ લાખ રૂૂપિયા ની માંગણી કરી ગળામાં પહેરેલો સોનાનો ચેઇન ઝુંટવી લીધો હતો, અને આગળ લીધેલા સોનાના દાગીના પણ પચાવી પાડ્યા હતા, જેથી મામલો પોલીસ મથકે લઈ જવાયો છે, અને વ્યાજખોર સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા પાસેથી વ્યાજખોરી: ₹3.40 લાખના ધિરાણ સામે ₹5 લાખની માંગણી, સોનાના દાગીના પણ કબજે પોલીસ સૂત્રો મુજબ, સીટી ‘સી’ વિભાગ પોલીસ મથકમાં આજે ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 308(2), 308(5), 352 તથા ગુજરાત મની લેન્ડર્સ અધિનિયમ કલમ 39, 40, 41, 42 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
જેમાં ફરિયાદી માધવીબેન જીતેન્દ્રભાઈ રાવલ જાતે બ્રાહ્મણ (ઉંમર 43 વર્ષ, રહે. આશાપુરા સોસાયટી, જામનગર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે એપ્રિલ-2025 દરમિયાન વિજયભાઈ અરેડીયા (રહે. ગાંધીનગર, સાઈબાબા મંદિર પાસે, જામનગર) પાસેથી 6 ટકા વ્યાજે રૂૂપિયા 3,40,000 ધિરાણથી લીધા હતા. તેના બદલામાં આરોપીએ મહિલાના સોનાના દાગીના પોતાના કબજામાં લઈ લીધા હતા.
ફરિયાદ મુજબ, મહિલાએ અત્યાર સુધીમાં અંદાજે રૂૂપિયા 1,50,000 પરત આપ્યા હોવા છતાં આરોપી વધુ વ્યાજની માંગણી કરતો રહ્યો હતો. આરોપી વારંવાર મહિલાના ઘરે જઈ અપશબ્દો બોલતો તથા ફોન પર પણ ધમકીઓ આપતો હતો.
આ ઉપરાંત આરોપીએ મહિલાને રૂૂપિયા 5,00,000ની માંગણી કરી પૈસા નહીં આપો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને મહિલાનો સોનાનો ચેઇન પણ બળજબરીથી લઈ લીધો હતો. મહિલાએ આરોપ મૂક્યો છે કે આરોપી ગેરકાયદેસર રીતે અતિશય વ્યાજ વસૂલ કરી રહ્યો છે અને સોનાના દાગીના પરત આપતો નથી. આ બનાવ અંગે સીટી ‘સી’ વિભાગ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
