ચોટીલા સબ ડિવિઝન હેઠળના મુળી અને થાનગઢ તાલુકામાં ગેરકાયદેસર કોલસા ખનન સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ગત રાત્રે આકસ્મિક તપાસ કરી હતી. અગાઉ બુરાણ કરાયેલા ગેરકાયદેસર કૂવાઓ ફરી સક્રિય ન થાય તે મુખ્ય હેતુ હતો.
ગત 7 માર્ચ, 2026ના રોજ રાત્રિના 10 કલાકે, ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જાતે મેદાનમાં ઉતરીને મુળી અને થાનગઢ તાલુકાના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે ખનન પ્રવૃત્તિની સ્થિતિની સમીક્ષા કરી હતી.
આ તપાસ મુળી તાલુકાના આસુન્દ્રાળી અને ઉમરડા તેમજ થાનગઢ તાલુકાના વેલાળા (સા) અને મનડાસર ગામોમાં કરવામાં આવી હતી. વહીવટી તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હતો કે અગાઉ પૂરી દેવાયેલા ગેરકાયદેસર કૂવાઓમાં ફરીથી ખોદકામ શરૂૂ ન થાય અને અન્ય વિસ્તારોમાં થતા ગેરકાયદેસર ખનન પર રોક લગાવી શકાય.
નાયબ કલેક્ટરે આ ચારેય ગામોમાં જઈને બુરાણ કરાયેલા કૂવાઓની સ્થિતિ ચકાસી હતી. આ ઉપરાંત, આસપાસના અન્ય વિસ્તારોમાં પણ ક્યાંય નવું ખનન તો નથી થઈ રહ્યું ને, તેની ઝીણવટભરી તપાસ કરી સ્થળ પર ખાતરી કરી હતી.વહીવટી તંત્રની આ કડક કાર્યવાહીને પગલે પંથકના ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી સમયમાં પણ આવી આકસ્મિક તપાસ ચાલુ રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે.
