રાત્રે કેકેવી બ્રિજ નીચેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો, હોસ્પિટલે ખસેડાતા સારવારમાં દમ તોડ્યો: મોબાઇલના ઝઘડામાં ઢીમ ઢાળી દીધાનું આરોપીનું રટણ
રાજકોટ શહેરમાં થોડા દિવસ પહેલા કોઠારીયા સોલવન્ટમાં મિત્રના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનને માથામાં ધોકો મારી ખોપરી ફાડી હત્યા નિપજાવી હતી અને આ ઘટના બાદ વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે.શહેરના કેકેવી ચોક નજીક બ્રિજ નીચે રાત્રે એક નેપાળી યુવાનની ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવી હતી.તેમને કોઈએ પથ્થરના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી આ ઘટનામાં માલવિયાનગર પોલીસ મથકના સ્ટાફે એક શકમંદને ઉઠાવી લઇ પૂછપરછ શરૂૂ કરી છે.તેમજ હત્યાનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યુ કે, આરોપી અને મૃતક વચ્ચે મોબાઇલ મામલે ઝઘડો થયો હતો અને આરોપીએ આવેશમાં આવી પથ્થરના ઘા ઝીંકી નેપાળી યુવાનની હત્યા નીપજાવી હતી.
વધુ વિગતો મુજબ,ગઈકાલે મોડી રાત્રે 2:30 વાગ્યાની આસપાસ એક યુવાનની લોહીથી લથબથ હાલતમાં કેકેવી બ્રિજ નીચેથી લાશ મળી આવી હતી.આ ઘટનામાં માલવીયા નગર પોલીસના પીઆઇ દેસાઈ,રાઇટર મહેશભાઈ રૂૂડાતલા અને સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરતા મૃતક યુનિવર્સિટી રોડ આકાશવાણી ચોક પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતો રાહુલ પ્રેમસિંગ વિશ્વકર્મા(ઉ.33)હોવાનું જાણવા મળ્યું હતું.
મૃતક હોટેલમાં કામ કરતો હતો અને પોતે કામ પર જવાનું કહી ઘરેથી રાત્રે સાડા દસેક વાગ્યે નીકળ્યો હતો.તેમના છુટા છેડા થઈ ગયા છે અને હાલ તેમની દીકરી એની માતા સાથે રહે છે.રાહુલ બે ભાઈ અને એક બહેનમાં મોટો હતો.તેમના માતાનું નામ સરસ્વતીબેન છે.આ ઘટના અંગે માલવીયાનગર પોલીસના પીઆઇ જે.આર.દેસાઈ અને રાઇટર મહેશભાઈ સહિતના સ્ટાફે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,રાહુલને કોઈએ પથ્થરના ઘા ઝીંક્યા હતા અને હાલ સીસીટીવી ફુટેઝના આધારે એક શકમંદને ઉઠાવી લઇ પુછપરછ શરૂૂ કરવામાં આવી છે અને હત્યા પાછળનું કારણ જાણવા મળ્યુ હતુ કે, મોબાઇલ મામલે મૃતક રાહુલ અને આરોપી વચ્ચે માથાકૂટ થઇ હતી અને આ ઝઘડો મારામારી સુધી પહોંચ્યો હતો અને તેમા આરોપીએ પથ્થરના ઘા ઝીંકી રાહુલને પતાવી દીધો હતો.
