કુવાડવા નજીક વાદીપરામાં ઘર પાસેથી નીકળવા મામલે પિતા-પુત્ર પર તલવારથી હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત રાજકોટ સિવિલમાં દાખલ કરાયા છે. એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.વધુ વિગત અનુસાર,વાદીપરામાં રહેતા મુન્નાનાથ રાણીનાથ મેર (ઉ.વ.20) તથા તેના પિતા રાણીનાથ રૂૂપનાથ મેર (ઉ.વ.70) ગઈકાલે સાંજે વાદીપરામાં હતા ત્યારે જાગુનાથ, દેવનાથ અને તેની સાથેના શખ્સોએ હુમલો કરી ઢીકાપાટુનો માર મારી તલવારના ઘા મારતા બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
વધુ વિગતો મુજબ,મુનાનાથ બાઈક લઈને ઘરેથી નીકળ્યો ત્યારે દૈવનાથના ઘર પાસેથી પસાર થતાં આરોપીઓએ તેમને અટકાવ્યો હતો. અહીંથી શું કામ નીકળે છે? તેમ કહીં અપશબ્દો બોલી, ઝઘડો કર્યો અને ધમકાવી તલવારથી હુમલો કર્યો હતો.આ અંગે જાણ થતાં તેના પિતા રાણીનાથ બચાવવા વચ્ચે પડ્યા હતા. તેને પણ તલવારનો ઘા ઝીંકી દેવાયો હતો. બંનેને પિતા પુત્ર લોહી લુહાણ થઈ ગયા હતા. સૂત્રોએ જણાવ્યું કે, મુન્નાનાથને એક યુવતી સાથે અગાઉ પ્રેમસંબંધ હતો. જેથી અગાઉ દેવનાથ સાથે મનદુ:ખ હતું.કદાચ એ વાતનો ખાસ રાખીને પણ હુમલો કરાયો હોવાનું અનુમાન છે. એરપોર્ટ પોલીસે નિવેદન લઈ આરોપીઓની અટકાયત કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
