જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર ગઈકાલે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. મેઘપર પડાણા ગામના પાટીયા પાસે એક મોપેડ સવાર શ્રમિકને કાર ના ચાલકે ઠોકરે ચડાવી હડફેટમાં લઈ લેતાં ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા હીરાભાઈ રામજીભાઈ નકુમ નામના 58 વર્ષના દલવાડી શ્રમિક, કે જેઓ પોતાનું મોપેડ લઈને જામનગર ખંભાળિયા ધોરીમાર્પર પડાણા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી જીજે 36 એ આર 3352 નંબરની કારના ચાલકે મોપેડ ને પાછળથી ઠોકર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં મોપેડ સવાર રામજીભાઈ નકુમને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી, અને તેઓનું કરુણ મૃત્યુ નિપજ્યું છે. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર રાકેશ હીરાભાઈ નકુમે મેઘપર પડાણા પોલીસમાં પોતાના પિતા ને મોપેડ સહિત ઠોકરે ચડાવીને મૃત્યુ નીપજાવવા અંગે કારચાલક સામે ફરિયાદ નોંધાવતાં મેઘપર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર એન થાનકીએ વધુ તપાસ હાથ ધરી છે.
