અરવલ્લી પર્વતમાળાના કેસમાં નવો વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના કેસમાં પોતાના જ 20 નવેમ્બરના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. આગામી સુનાવણી 21 જાન્યુઆરી, 2026ના રોજ થશે. ત્યાં સુધી ખાણકામ પર પ્રતિબંધ રહેશે. કોર્ટે એક્સપર્ટ્સ કમિટી દ્વારા તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે.
સુપ્રીમ કોર્ટે આજે (સોમવારે) અરવલ્લી પર્વતમાળાના વિવાદ પર સુનાવણી કરી. જસ્ટિસ સૂર્યકાન્તે આદેશ આપ્યો છે કે નિષ્ણાત સમિતિની ભલામણો અને તેના પર સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી વધુ ટિપ્પણીઓ હાલ પૂરતું સ્થગિત (abeyance) રહેશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ ભલામણો આગામી સુનાવણી સુધી લાગુ કરવામાં આવશે નહીં.
CJI સૂર્યકાંતે કહ્યું, કે સમિતિના રિપોર્ટ તથા તેના પર કોર્ટે કરેલી ટિપ્પણીનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. એવામાં આ રિપોર્ટ અને કોર્ટના આદેશ લાગુ કરતાં પહેલા એક નિષ્પક્ષ અને સ્વતંત્ર મૂલ્યાંકનની જરૂર છે. સમગ્ર કેસમાં સુપ્રીમ કોર્ટે હરિયાણા, રાજસ્થાન, દિલ્હી સહિત તમામ સંબંધિત રાજ્યોને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. કોર્ટે કેન્દ્રને નોટિસ પાઠવી છે.
