રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. પોલીસના લોકદરબાર યોજાતા બંધ થઇ જતા ફરી વ્યાજખોરોએ માથુ ઉચકયું છે. ત્યારે મેટોડાના યુવાને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી કંટાળી રેસકોર્ષ નજીક ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ અંગે પ્ર.નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મેટોડામાં આસ્થા વિલેજ ગેઇટમાં જલારામ પાર્ક બ્લોક નં.8માં રહેતા ચેતન અશોકભાઇ પાચાણી (ઉ.વ.38)નામના યુવાને ગઇકાલે સાંજે રેસકોર્ષ નજીક ગેલેકસી સીનેમા પાસે શેરીમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીેસે હોસ્પિટલે દોડી જઇ આપઘાતનો પ્રયાસ કરનાર ચેતન પાચાણીનુ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં ચેતન મજૂરી કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. તેણે અગાઉ નાણાની જરૂરીયાત ઉભી થતા 3-4 લોકો પાસે રૂા.5 લાખ વ્યાજે લીધા હતા. બાદમાં આ વ્યાજખોરો વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોય જેથી કંટાળી તેમણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યુ છે. આ અંગે પ્ર.નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
