પડધરીમાં આવેલા ગીતાનગરમાં રહેતાં નસેડીએ દારૂના નશામાં પત્નીને લાકડી વડે ઢોર માર માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પડધરીમાં આવેલા ગીતાનગરમાં રહેતી કનુબેન વલ્લભભાઈ વાઘેલા નામની 40 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં તેના પતિએ લાકડી વડે ઢોર માર માર્યો હતો. પરિણીતાને ગંભીર ઈજા પહોંચતાં બેશુધ્ધ હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં હુમલાખોર પતિએ દારૂના નશામાં પત્નીને માર મારી નાસી છુટયો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં શાપરમાં આવેલ આશ્રય હોમ સોસાયટીમાં રહેતી રેનુબેન રાગેબિહર નામની 17 વર્ષની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું. સગીરાને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
