શહેરમાં જામનગર રોડ પર આવેલા નાગેશ્વર બસ સ્ટેશન પાસે ધંધાકીય હરિફાઈનો ખાર રાખી ઈકો ચાલક ઉપર ત્રણ શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો.હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સ્પીવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ પંડીત દીનદયાળ ટાઉનશીપમાં રહેતાં અને ઈકો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં અજયસિંહ પ્રવિણસિંહ જાડેજા નામનો 40 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના અરસામાં જામનગર રોડ પર નાગેશ્ર્વર બસ સ્ટેશન સામે હતો ત્યારે ધરમનગરમાં રહેતાં વિશાલ અને ગાંધીગ્રામમાં રહેતાં ભુરા સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ઈકોના ફેરાની ધંધાકીય હરિફાઈમાં હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
બીજા બનાવમાં રાજકોટ નજીક આવેલા સરધાર ગામમાં રહેતા જોનીશભાઈ કાનજીભાઈ પરમાર (ઉંમર વર્ષ 29) અને તેમના માતા રમાબેન (ઉંમર વર્ષ 46) ગઈકાલે સાંજે સરધાર ગામમાં કોળીપરામાં પંચમુખી ચોક ખાતે પોતાના ઘર પાસે હતા ત્યારે સામેવાળા પેઠીયો ભરવાડ, જીગો મુંધવા, ભાવેશ ફાંગલીયા તથા તેમની સાથેના અન્ય માણસોએ ઝઘડો કરી ધોકા, ધારીયા તથા પાઇપ વડે માર માર્યો હતો.
જોનીશભાઈએ જણાવ્યું કે, ગઈકાલે પોઠીયો ઇકો કાર લઈ નીકળ્યો ત્યારે ફૂલ સ્પીડમાં ચલાવતા ખાબોચિયું ભરેલું હોય, તેમાંથી મને પાણી ઉડ્યું હતું. મેં કાર ધીમી ચલાવવાનું કહેતા બોલાચાલી થઈ હતી. પછી આ પોઠીયો બીજા માણસોને લઈ મારાં ઘર પાસે આવ્યો હતો અને હુમલો કર્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
