શહેરમાં સાધુવાસવાણી રોડ પર આવેલ ગોપાલ ચોકમાં મધરાત્રે સોડા પીવા નીકળેલા દંપતિ સાથે જુના ભાડુઆતે ઝઘડો કરી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતિને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. અગાઉ જુના મકાન માલિકે ભાડુઆત મહિલાની છેડતી કરી હોવા મુદ્દે થયેલા ડખ્ખાનો ખાર રાખી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં સાધુવાસવાણી રોડ પર ગોપાલ ચોક પાસે રહેતા આશાબેન રોહિતભાઈ રાઠોડ (ઉ.35) અને તેમના પતિ રોહિતભાઈ રાજુભાઈ રાઠોડ (ઉ.37) રાત્રીનાં બારેક વાગ્યાના અરસામાં સોડા પીવા માટે ગોપાલ ચોકમાંથી જઈ રહ્યાં હતાં ત્યારે ગોવિંદ ભરવાડ સહિતના શખ્સોએ આવી ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતિને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત દંપતિ અગાઉ હુમલાખોર ગોવિંદ ભરવાડના મકાનમાં ભાડે રહેતાં હતાં. ત્યારે ગોવિંદ ભરવાડે આશાબેન રાઠોડની છેડતી કરી હતી. જે મુદ્દે મકાન માલીક અને ભાડુઆત વચ્ચે વેરના બીજ રોપાયા હતાં. જેનો ખાર રાખી જુના મકાન માલિકે ગઈકાલે દંપતિ ઉપર હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
