એકાતરા ઇંડા લેવા આવતા વેપારી પ્રૌઢને કાગદડી નજીક વહેલી સવારે નડયો જીવલેણ અકસ્માત
રાજકોટથી ઇંડા ભરી મહુવા જતી બોલેરો કાર કાગદડી પાસે વહેલી સવારે બંધ ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જેમા ગંભીર રીતે ઘવાયેલા ચાલકનુ મોત નીપજયુ હતુ. જયારે એક યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. પ્રૌઢનાં મોતથી પરીવારમા માતમ છવાયો છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ભાવનગરનાં મહુવામા આવેલા નુતનનગરમા રહેતા મહંમદ શકિલ નઝરુદીનભાઇ શેખ (ઉ.વ. 44 ) અને યુનુસખાન જહાંગીરખાન પઠાણ (ઉ.વ. 39 ) રાજકોટથી ઇંડા ભરી બોલેરો કાર લઇ વહેલી સવારે મહુવા પરત જવા નીકળ્યા હતા. ત્યારે રાજકોટની ભાગોળે આવેલા કાગદડી નજીક રોડ પર સાઇડમા પડેલા બંધ ટ્રક પાછળ બોલેરો કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા બોલેરો ચાલક મહંમદ શકીલ શેખનુ મોત નીપજયુ હતુ. જયારે યુનુસખાન પઠાણને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા મૃતક મહંમદ શકીલ શેખ બે ભાઇ બે બહેનમા નાના હતા. અને તેને સંતાનમા એક પુત્ર અને 3 પુત્રી છે મોહંમદ શકીલ શેખ એકાતરા મહુવાથી રાજકોટ ઇંડા લેવા માટે આવતા હતા. અને આજે ઇંડા લેવા આવ્યા હતા. ત્યારે યુનુસખાન પઠાણને સાથે લાવ્યા હતા. રાજકોટથી ઇંડા ભરીને મહુવા જતા હતા. ત્યારે કાગદડી પાસે બંધ ટ્રક પાછળ બોલેરો કાર ઘુસી જતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
