ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામે રહેતા ભાવેશભાઈ આલાભાઈ જોડ નામના 27 વર્ષના યુવાન ગઈકાલે ગુરુવારે તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે અત્રેથી આશરે 12 કિલોમીટર દૂર બજાણા – કંડોરણા માર્ગ પર આવી રહેલા જી.જે. 37 વી. 8299 નંબરના એક ટ્રકના ચાલકે ભાવેશભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા તમને ગંભીર ઇજાઓ થતા તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા આલાભાઈ સામતભાઈ જોડ (ઉ.વ. 50) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ટ્રકના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
કૂવામાં ડૂબી જતા યુવાનનું મોત
કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામના મૂળ વતની અને હાલ મેઘપર ટીટોડી ગામે રહેતા જીગ્નેશભાઈ હાજાભાઈ લગારીયા નામના 28 વર્ષના યુવાન પોતાની વાડીએ મોટર ચાલુ કરવા જતા કોઈ કારણોસર કુવામાં પડી જતા ડૂબી જવાના કારણે તેમનો મૃત્યુ નિપજ્યું હતું. જે અંગેની જાણ જગુભાઈ સીદાભાઈ લગારીયા (ઉ.વ. 34, રહે. પટેલકા) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
મહિલાએ ટ્રેન હેઠળ પડતું મુકતા મોત
દ્વારકા તાલુકાના ઓખા મઢી ગામે રહેતા સંતોકબેન અરજણભાઈ પરમાર નામના 65 વર્ષના કોળી મહિલા તામસી મગજના હોય અને પોતાને રાવલ ગામે જવું ગમતું ન હોવાથી આ બાબતે તેમના દીકરાએ સવારે જવાનું કહ્યું હતું. આ અંગે તેમને મનમાં લાગી આવતા નવી મઢી આગળથી પસાર થતા રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પુત્ર ટપુભાઈ અરજણભાઈ પરમાર (ઉ.વ. 35) એ દ્વારકા પોલીસને કરી છે.
એસિડ ગટગટાવી જતા સિક્કાના આધેડનું મોત
જામનગર તાલુકાના સિક્કા ગામે રહેતા સંજયભાઈ લક્ષ્મણદાસ દુદાણી નામના 50 વર્ષના વેપારી આધેડે બુધવાર તા. 9 ના રોજ ઓખામાં નવી બજાર વિસ્તારમાં કોઈ કારણોસર એસિડ પી લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ જયેશભાઈ લક્ષ્મણદાસ દુદાણી (ઉ.વ. 58, રહે. ઓખા) એ સ્થાનિક પોલીસને કરી છે.
