લક્ષ્યાંક મુજબ આવક ન થતાં મ્યુનિ. કમિશનરે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા
રાજકોટ મહાપાલિકાની મુખ્ય આવક મિલ્કતવેરો તેમજ એફએસઆઈ અને સાથો સાથ પ્રોફેસનલ ટેક્સમાંથી થાય છે. છતાં પ્રોફેશનલ ટેક્સ વસુલવા માટે કડક કાર્યવાહી થતી નથી આથી નવ નિયુક્ત કમિશનર તુષાર સુમેરાએ આજે લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે પ્રોફેશનલ ટેક્સની કડક ઉઘરાણીના આદેશ કરતા 65000 બાકીદારોને નોટીસ ઈસ્યુ કરવાના આદેશ કર્યા હતાં. મહાનગરપાલિકાના બજેટમાં ચાલુ નાણાંકીય વર્ષ અંતર્ગત રૂૂ.35 કરોડની વસુલતના ટાર્ગેટ સામે હાલ સુધીમાં 23 કરોડની વસુલાત થઇ હોય લક્ષ્યાંક પૂર્તિમાં હજુ 12 કરોડનું છેટું રહેતા હવે ધડાધડ નોટિસો આપવામાં આવી રહી છે, નવા કરદાતાઓ શોધી તેનું રજિસ્ટ્રેશન કરવા તેમજ અગાઉથી રજિસ્ટર્ડ હોય અને બાકી વેરો ચુકવતા ન હોય તેવા કરદાતાઓ પાસેથી બાકીવેરો વસુલવાની કામગીરી સમાંતર રીતે ચાલી રહી છે. વોર્ડ વાઇઝ સર્વેના અંતે કુલ 65,000 વ્યવસાયિકોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ જે એકમોના સરનામા ચેન્જ થઈ ગયા હોય તે સ્થળે આવેલા નવા એકમોની યાદી તૈયાર કરવાની પણ સુચના આપવામાં આવી છે.
વ્યવસાય વેરા વિભાગ દ્વારા ડોકટર, એડવોકેટ, ચાર્ટડ એકાઉન્ટ, કંપની સેક્રેટરી, કોન્ટ્રાકટર, બિલ્ડર, આર્કિટેક્ટ, ક્ધસલ્ટિંગ સિવિલ ઇજનેર, એડ એજન્સીઓ જેવા વ્યવસાયિકોને નોટિસ આપી રજિસ્ટ્રેશન કરાવવા અથવા તો રજિસ્ટર્ડ હોય તેને વેરો ચુકતે કરવા નોટિસો અપાતી હતી પરંતુ હવે વોર્ડ વાઇઝ ગ્રાઉન્ડ લેવલ સુધી ફિલ્ડવર્ક કરી બ્યુટી પાર્લર, હેર સલૂન, દરજીની દુકાન જેવા નાના વ્યવસાયિકોને નોટિસ આપવામાં આવી છે. થોડા સમય પૂર્વે રાજ્ય સરકાર વ્યવસાય વેરો નાબૂદ કરશે તેવી વાત હતી અને તે માટેની વ્યાપક રજુઆતો પણ થતી હતી જેના લીધે કોઇ વ્યવસાય વેરો ભરપાઇ કરતું ન હતું પરંતુ હવે વ્યવસાય વેરો નાબૂદ કરવાની વિચારણા નથી તે સુનિશ્ચિત થઇ જતા મહાપાલિકા તંત્રએ પુરજોશમાં વેરા વસુલાત શરૂૂ કરી છે.
મહાનગરપાલિકાએ રજીસ્ટર થયેલા એકમો ઉપરાંત કારખાનાઓ તેમજ કોમર્શીયલ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ સ્ટાફનો વ્યવસાય વેરો ભરપાઈ થઈ રહ્યો છે કે કેમ તે અંગે પણ આગામી દિવસોમાં તપાસ કરવામાં આવશે. અને દરેક એકમોને તેમના સ્ટાફના વ્યવાસય વેરા અંગે નોટીસ પણ આપવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.
